દયાપર (તા. લખપત), તા. 20 : અબડાસા અને
લખપત તાલુકાને જોડતો મહત્ત્વનો માર્ગ નલિયા-માતાનામઢ છેલ્લાં પાંચ વર્ષથી મરંમત ન થતાં
અતિ જર્જરિત બની ગયો છે અને ઠેર-ઠેર ખાડા પડી ગયા છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. માતાનામઢ યાત્રાધામમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય
છે અને બંને તાલુકાને જોડતો માર્ગ હોવાથી વાહન વ્યવહાર પણ આ રસ્તે વધ્યો છે. અબડાસા
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજિતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હવે શ્રાવણ માસ આવશે ત્યારબાદ નવરાત્રિ પણ આવશે
અને આ રસ્તે ટ્રાફિક વધે છે આ બાબતે ધારાસભ્યને રજૂઆત કરી છે, પણ તેઓ કહે છે મંજૂર થઇ ગયો છે. એક વર્ષ થયે મંજૂર થઇ ગયો છે, તો તંત્ર દ્વારા કામ ચાલુ શા માટે નથી કરાતું તે પ્રશ્ન છે. હાલમાં આ રસ્તે
એસ.ટી. બસ રૂટ પણ ચાલુ છે ગોયલા ફાટકથી રામપર અબડા સુધી વાહનો પહેલા-બીજા ગીયરમાં ચાલી
શકે છે, જેથી નલિયાથી માતાનામઢ દોઢ કલાકના બદલે અઢી કલાકનો સમય
રસ્તામાં નીકળી જાય છે.