ભુજ, તા. 19 : આગામી
26 મેના
દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજમાં જાહેર
સભાને સંબોધન કરવાના હોઈ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તેની તૈયારીમાં લાગી ગયું છે
ત્યારે જિલ્લા ભાજપ સંગઠન પણ વડાપ્રધાનને સત્કારવા કામે લાગી ગયું છે. ઓપેરશન
સિંદૂરની સફળતા બાદ કચ્છ આવતા વડાપ્રધાન ભુજ ખાતે વિશાળ જનસભાને સંબોધવાના હોઈ
તેનાં આયોજનની તૈયારીના ભાગરૂપે કચ્છ કમલમ્ ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ
તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા અને પ્રદેશ મહામંત્રી અને સાંસદ
વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં એક બેઠક
યોજવામાં આવી હતી. બેઠકને સંબોધતાં જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈએ દરેક મંડળોમાં
બેઠકો યોજવા અને જિલ્લા પંચાયત સીટ વાઇસ આયોજન કરવા અને વધુમાં વધુ લોકો જાહેરસભામાં
હાજર રહી શકે તે માટેનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. મહિલા મોરચા દ્વારા વિશેષ
રીતે એક પરિધાનમાં બહેનો હાજર રહેશે તેમજ યુવા મોરચા દ્વારા પણ વિશેષ
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તમામ મોરચા વિશેષ આયોજન કરી
વડાપ્રધાનને આવકારશે તેવું જણાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ
ચાવડાએ આયોજન અંગે વિગતવાર જણાવતાં કહ્યું હતું કે, વધુમાં વધુ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી
શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. ભુજ ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવી સફાઈ કરવાનું
આયોજન કરવામાં આવશે, વડાપ્રધાનના આગમન માર્ગ ઉપર વિશેષ રીતે 1000 મીટર
લાંબા તિરંગાથી અભિવાદન કરવામાં આવશે,
સાથેસાથે દેશભક્તિના ભીંતચિત્રો (કૃતિઓ) અને વિવિધ ગ્રુપ દ્વારા
દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો કરવા સહિતની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રભારી
મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાએ સરકાર અને સંગઠન સાથે રહી એક સફળ આયોજન કરવા પર ભાર
મૂક્યો હતો અને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના રોમરોમમાં ભારત માતા અને
રાષ્ટ્રસેવા છે. આપણા સૈનિકો જ્યારે માત્ર 25 મિનિટમાં આતંકવાદીઓનું કામ તમામ
કરી આવ્યા છે ત્યારે કચ્છ આવતા વડાપ્રધાનનું વિશેષ અભિવાદન કરવાનો આ અવસર છે. તમામ
ધારાસભ્યોએ પણ પોતાના વિધાનસભા વિસ્તારમાંથી વધુમાં વધુ લોકો આવી શકે અને તેમની
યોગ્ય વ્યવસ્થા થાય તે માટે તાલુકા અને શહેર મંડળો તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે
સંકલન કરી આયોજન કરવામાં આવશે તેવું જણાવાયું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ
જનકાસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રાસિંહ જાડેજા, પ્રદ્યુમનાસિંહ જાડેજા તેમજ
જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ,
ધવલભાઈ આચાર્ય, જિલ્લાના તમામ હોદ્દેદારો,
અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
હોવાનું જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ
ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવ્યું હતું.