ભુજ, તા. 19 : અહીંના
મંગલમ્ ચાર રસ્તા પાસે ચાલી રહેલ વરસાદી નાળાંનું કામ છેલ્લા કેટલાક દિવસોથી એકાએક
બંધ કરી દેવાતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીં આવતા લોકોની હાલાકી યથાવત્ રહી છે. જો
વેળાસર કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો ચોમાસામાં સ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ
સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. મંગલમ્ ચારરસ્તા પાસે વરસાદી નાળું
બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે છેલ્લા ચાર-પાંચ દિવસથી આ કામગીરી એકાએક બંધ
થઇ જતાં શા કારણે આ કામ અટક્યું તેવો સવાલ ઉઠાવાઇ રહ્યો છે. વધુમાં વરસાદી
વહેણમાંથી પાણી અવરોધ વિના પસાર થાય છે કે નહીં તે જોવા પણ વેપારીઓએ રજૂઆત કરી છે.
હાલે આ કામ ચાલુ હોતાં અહીં આવેલ દુકાનોમાં પુલ જેવા પાટિયા પરથી પસાર થઇને લોકો
અને વેપારીઓને જવાનો વારો આવી રહ્યો છે. આ કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવી સ્થાનિક
વેપારીઓની રજૂઆત છે.