• રવિવાર, 01 જૂન, 2025

વીર સૈનિક પરિવારોનાં કલ્યાણ માટે રૂા. 17 લાખ એકત્ર

મુંદરા, તા.  19 : `આપણે સુરક્ષિત છીએ તેની પાછળ ભારતીય સૈન્ય દળોની સજાગતા છે. નાગરિકોનું સૈન્ય દળો અને જવાનો પ્રત્યે ઋણ છે. એમની કોઈ વેદનામાં આપણી ભાગીદારીનો પ્રયાસ એ આપણી ફરજ અને એ કાર્ય ધન્યવાદને પાત્ર છે.' એવો ભાવ રવિવારે સાંજે મુંદરામાં દેશના વીર જવાનોના લાભાર્થે યોજાયેલી સંગીત સંધ્યામાં વ્યક્ત થયો હતો. આ કાર્યક્રમની જાહેરાત થઈ અને કાર્યક્રમ યોજાયો ત્યાર સુધીમાં રૂા. 17 લાખથી વધુનું ભંડોળ વીર સૈનિક પરિવારનાં કલ્યાણ અર્થે  એકત્ર થઇ ચૂક્યું છે અને આ પ્રવાહ હજુ યથાવત્ છે. મુંદરાની પ્રસિદ્ધ હોટલ સુરભિનાં આયોજનમાં સુરભિ સોશિયલ ગ્રુપના ઉપક્રમે અને પ્રોજેક્ટ વીર ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત કચ્છના શિરમોર અખબાર કચ્છમિત્રના સહકારથી અહીંના સુરભિ ગાર્ડન ખાતે શહીદ જવાનોને સંગીતમય સ્મરણાંજલિ અપાઇ હતી. આ પ્રસંગે લેફટ. કર્નલ અમિત સાગવાનમેજર નૈમિશ એ., કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, મુંદરાના નગર અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોશીઅદાણી પોર્ટના અધિકારીઓ સૌરભભાઈ શાહ, પરેશભાઈ ગોયલ, શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીના એમડી વિનોદભાઈ સોલંકીરામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોજભાઈ સોલંકી, ઉદ્યોગપતિ મનોજભાઈ વેગડ, માનસી ટ્રસ્ટના હીરાલાલ સાવલા વગેરે  અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સ્મરણાંજલિ પહેલાં યોજાયેલા આરંભિક સમારોહમાં શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે વક્તવ્યમાં વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે, સૈનિક પરિવારો માટે કાર્યરત વીર પ્રોજેક્ટ સાથે  જોડાવાની અમારી તૈયારી છે. જરૂરિયાતમંદ સૈનિક પરિવારને  સારવાર કે શસ્ત્રક્રિયા હોય બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક સારવાર મળશે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે સૈનિક કલ્યાણ કાર્યક્રમો માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્ર હંમેશાં સહયોગી રહેશે, તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે કારગિલ યુદ્ધ પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ભંડોળ એકત્ર  કરવાના સફળ અભિયાન તેમજ કચ્છની સીમાએ ધર્મશાળા ચોકીમાં કરાયેલા હોસ્પિટલ સહિતના સૈન્ય સેવાના કાર્યોને યાદ કર્યા હતા. મનોજભાઈ સોલંકીએ કહ્યું હતું કે, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવો એ ભારતની સંસ્કૃતિ છે અને આપણે સેનાને બિરદાવવા ભેગા થયા છીએ ત્યારે સૈન્ય પરિવારની મુશ્કેલીમાં ભાગીદારીનો પ્રયાસ એ ધન્યવાદને પાત્ર છે. વીર પ્રોજેક્ટ વધુ ને વધુ મજબૂત બની વધુ સત્કાર્યો કરે એવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આ પહેલાં આયોજક સુરભિ સોશિયલ ગ્રુપના  મોવડી ભોગીલાલભાઈ ચાવડા અને 29 વર્ષ જૂના વીર પ્રોજેક્ટ ટ્રસ્ટના સ્થાપક ધીરજભાઈ ધરોડે મહેમાનોનું સ્વાગત અને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આગેવાન દાતાઓએ ઉદાર હાથે રકમ નોંધાવી હતી અને કંપનીઓએ પણ સીએસઆરના ભાગરૂપે કાર્યમાં જોડાવા રસ દાખવ્યો છે. જેમની ઉચ્ચ સ્તરેથી મંજૂરી મળ્યા બાદ સહયોગનો આ પ્રવાહ હજુ અવિરત રહેશે.  પ્રોજેક્ટ વીર ટ્રસ્ટને થઈ રહેલું ડોનેશન 80-જી હેઠળ કરમુક્ત છે. આ પ્રસંગે મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઇ ગઢવી, અગ્રણી ડોસાભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી, જિંદાલ સો. લિમિટેડના વીપી કે.કે. પરિદા, છાયાબેન ગઢવી, કૃષ્ણકુમાર શિયાણી, શ્રીકાંત વ્યાસવિનોદ જેઠવા, ભૂપેન્દ્ર મહેતા, ભરત ભટ્ટ, નિગમ ભોગીલાલ ચાવડા, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના સેક્રેટરી પંકજભાઈ વાની, અશ્વિનભાઈ ત્રિવેદી, મહેન્દ્રાસિંહ ઝાલા, સતુભા ગોહિલ, રાઘુભા જાડેજા, જયંતી મામણિયા, ઝવેરીલાલ સોનેજી, ભાવેશ ઠક્કર, નીતિન કેશવાણી વિ. ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા `એકલવીર'એ કર્યું હતું અને આભારવિધિ અશોક અધિકારીએ કરી હતી.  સંગીત કાર્યક્રમ રજૂ કરનારા પ્રસિદ્ધ પ્લેબેક ગાયિકા સંજીવની  ભિલાંદે, નિખિલ ઠાકુર, રાજેન્દ્ર ખિયેરા સહિતના કલાકારોનું દીપાબેન ચાવડા, હીનાબેન ધરોડ, અક્ષિતાબેન ચાવડા, ફોરમબેન ધરોડના હસ્તે સન્માન કરાયું હતું. - જવાનોના પરિવાર માટે વીર પ્રોજેક્ટની મહત્ત્વની ભૂમિકામુંદરાતા.  19 :  `ઘણા એવા સૈનિકોનાં વિધવા પત્નીઓ હોય છે, જેમના પોતાના અધિકારો, લાભોની પણ પૂરી જાણકારી હોતી નથી, ત્યારે આવી વીર પ્રોજેક્ટ જેવી સંસ્થાઓ તેમને સહાયક બને છે.  જે મહત્ત્વની ભૂમિકા છે. આ પ્રોજેક્ટ હજુ વધુ આગળ વધતો રહે તેવી શુભેચ્છા. `આ  શબ્દો છે વીરગતિ પામેલા જગરાજાસિંહના ધર્મપત્ની ટ્રેશાબેનના. આ જવાનના સંતાનોને શિક્ષણ માટે દત્તકનો મંજૂરીપત્ર સ્વીકાર્યા બાદ કચ્છમિત્ર સાથે વાત કરતાં તેમણે પ્રતિભાવ આપ્યો કે, અનેક સૈનિક વિધવા પત્નીઓ એવી પણ હોય છે જે પૂર્ણ શિક્ષિત હોતી નથી, ત્યારે આ વીર પ્રોજેક્ટ તેમને પેન્શન તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓની માહિતી આપે છે તથા સરકારની યોજનાઓ જ્યાં કામ નથી આવતી ત્યાં સહાયક પણ બને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd