ભુજ, તા. 19 : ભુજ
ખાતે તા. 26 મેના યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત
કાર્યક્રમનાં આયોજન અનુંસંધાને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનાં
અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી, તો શ્રી પાનસેરિયાએ
વડાપ્રધાન જ્યાં સભા સંબોધવાના છે એ સ્થળની પણ મુલાકાત લઈ જરૂરી દિશાનિર્દેશ આપ્યા
હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલે ભુજ-મિરજાપર રોડ પર યોજાનારા કાર્યક્રમનાં સ્થળ,
મંડપ વ્યવસ્થા, આમંત્રિતો તથા જનમેદની માટે
બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય,
સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે
પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીને પૂર્વ તૈયારીઓથી અવગત કર્યા હતા.
પ્રધાનમંત્રીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર
કાર્યક્રમની તૈયારીની રૂપરેખા પણ કલેક્ટરે રજૂ કરી હતી. પ્રભારીમંત્રીએ
વહીવટીતંત્રનાં આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી
મેળવી સૂચારુ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સાંસદ
વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનાસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચનો કર્યાં હતાં. શ્રી મોદીના
કાર્યક્રમના અનુંસંધાને પ્રભારીમંત્રી તથા અન્ય આગેવાનોએ કાર્યક્રમના સ્થળની
જાતમુલાકાત લઇને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ
અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા,
ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘ, પ્રાંત અધિકારી
અનિલ જાધવ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ તથા સંબંધિત
વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા
હતા.