ગાંધીધામ, તા. 11 : ગાંધીધામના પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલ
સર્કલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધીની મુખ્ય બજારની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે
બજારની નજીકના એસડીએક્સ સાઉથના રહેણાક વિસ્તારના બિનઉપયોગી માર્ગ ઉપરનાં દબાણો દૂર
કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ લાંબો સમય
વિતી ગયા બાદ અત્યાર સુધીમાં અમુક લોકોએ જ સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કર્યાં છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અહીં 150થી વધુ લોકોને દબાણો દૂર કરવા માટેની નોટિસ
આપવામાં આવી હતી. સમય મર્યાદાની અંદર સ્વેચ્છાએ અતિક્રમણ દૂર ન થાય, તો તંત્ર દ્વારા કાર્યવાહી
કરવાની પણ ચેતવણી આપી હતી,પરંતુ લાંબો સમય વિતી ગયો છે તેમ છતાં અત્યાર સુધીમાં
ગણતરીનાં દબાણ જ સ્વેચ્છાએ દૂર થયાં છે. હવે, અન્ય દબાણો ઉપર
તંત્ર કાર્યવાહી કરે તો જ દૂર થાય તેવી શક્યતા છે. મુખ્ય બજારની ટ્રાફિક સહિતની સમસ્યાઓ
દૂર કરવા માટે પાર્કિંગ વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત આવશ્યક છે તેને લઈને જ વહીવટી તંત્રએ
મહાજન વાડીના સામેના ભાગેથી નોટિસો આપવાનું શરૂ કર્યું હતું અને લગભગ ઝંડાચોક સુધી
નોટિસો આપી દેવામાં આવી હતી. ત્યાર પછી કાર્યવાહી બંધ થઈ હતી. જેટલા લોકોને નોટિસ આપવામાં
આવી હતી તેમને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે કહ્યું હતું, પરંતુ
હજુ સુધી દબાણો દૂર થયાં નથી. તંત્રએ જે માર્ગ ઉપરથી દબાણો દૂર કરવા માટે નોટિસ આપી
છે ત્યાં અવરજવર નથી અને એક બાજુ બજારનો અને બીજી સાઈડ રહેણાક વિસ્તારની પાછળનો ભાગ
છે અહીં દબાણ દૂર કરીને વાહન પાર્કિંગ માટેની એક સારી વ્યવસ્થા થઈ શકે તેમ છે અને તે
દિશામાં તંત્રએ કાર્યવાહી કરી છે, પરંતુ હજુ સુધી દબાણ દૂર થયાં
નથી. જવાબદારોનો સંપર્ક સાધતા થોડા સમયમાં એ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું હતું.