લક્ષ્મીચંદ
સોલંકી દ્વારા : પાટણ, તા. 11 : ભારત અને પાકિસ્તાન તણાવભરી સ્થિતિને અને બ્લેકઆઉટની
ચિંતાને લઈને સરહદી વિસ્તારના ગામોમાં આહીર સમાજના યોજાતાં લગ્નો વહેલાસર પૂર્ણ કરવાનું
આયોજન કરાયું હતું,
જેમાં સમાજના અગ્રણીઓ સાથે વહીવટી તંત્ર દ્વારા લગ્નોત્સવને લઈને બેઠક
યોજાઇ હતી, ત્યારે વહીવટી તંત્રની સાથે રહેવાની સમાજના અગ્રણીઓએ
ખાતરી આપી હતી. ભારત-પાકિસ્તાનની તંગદિલી વચ્ચે કચ્છના સરહદી વિસ્તારના ગામોમાં 400થી વધુ લગ્ન યોજાયાં હતાં, બ્લેકઆઉટની ચિંતા વચ્ચે મોડી
સાંજે નીકળતી જાનો બપોર બાદ સમયસર રવાના થઈ જવા પામી હતી, જેમાં
મોટાભાગની વિધિ જાન અને માંડવા પક્ષ દ્વારા વહેલાસર જ પતાવી દેવામાં આવી હતી. જો કે, મોડી સાંજે યુદ્ધવિરામ થવાની ઘોષણા
થતાં અને બ્લેકઆઉટ હટાવી લેવામાં આવતાં આહીર સમાજમાં હરખનો ઉન્માદ જોવા મળ્યો હતો,
એક તરફ લગ્નોત્સવનો ઉત્સાહ અને બીજી તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાંતોડ
જવાબ આપતાં લગ્નોત્સવની સાથે દેશ ભાવનાની હરખની હેલી જોવા મળી હતી અને સમાજમાં યોજાતાં
લગ્નો મોડીરાત્રિ સુધી જામ્યાં હતાં અને લગ્નોત્સવ અને સેનાના પરાક્રમનો બેવડો આનંદ
ઊજવ્યો હતો. જો કે, સમાજમાં પહેલાંથી જ લગ્ન પ્રસંગમાં કોઈ ઝગમગાટ
કે હેવી લાઈટો લગાવવામાં આવી ન હતી અને સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે લગ્નપ્રસંગ યોજાયો
હતો. બીજી તરફ પોલીસ ટીમ દ્વારા પણ સતત સરહદી વિસ્તારમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા
માટે પેટ્રાલિંગ ચાલુ રખાયું હતું. - એક જ દિવસે 400થી વધુ લગ્ન યોજાયાં : એક જ દિવસે યોજાતાં લગ્નો સમાજે દેશભાવનની લાગણી સાથે તંત્રની સૂચનાનું પાલન
કરી આયોજન કર્યું હતું અને એક જ દિવસે સરહદી વિસ્તારમાં 400થી વધુ લગ્ન યોજાયાં હતાં, જેમાં સરહદ પરની સ્થિતિને લઈને
લગ્ન, ભોજન સમારંભ સહિત લગ્નની વિધિઓ સમયસર પૂર્ણ કરવામાં આવી
હતી. જો કે, બ્લેકઆઉટ હટાવી લેવામાં આવતાં લગ્નપ્રસંગમાં રોનક
જોવા મળી હતી અને ઉત્સાહ સાથે લગ્નોત્સવ પણ પૂર્ણ થવા પામ્યો હતો.