ભુજ, તા. 11 : મોટી સંખ્યામાં શહેરીજનો જ્યાં તંદુરસ્તી જાળવવા સવાર-સાંજ ચાલવા જાય છે, તે વોક-વે પર ઓછી ઊંડાઈને પગલે
અનેક પોલ પવનના કારણે નમી જતાં સુધરાઈ દ્વારા આ તમામ પોલનું ફરીથી પાકું ફાઉન્ડેશન
કરવા કોન્ટ્રાક્ટરને ફરજ પડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સુધરાઈ દ્વારા વોક-વેનું
રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે અંતર્ગત લેક વ્યૂથી કરી ઉમેદનગર સુધીના માર્ગે નવા
વીજપોલ ઊભા કરાયા હતા, પરંતુ તાજેતરના વરસાદ અને પવનના કારણે
તમામ પોલ તળિયામાંથી ઉખડવાનું શરૂ થવાનું માલૂમ થતાં સુધરાઈ દ્વારા તમામ પોલનું ફરીથી
પાકું ફાઉન્ડેશન કરવા ફરજ પાડવામાં આવી હતી.
કારોબારી ચેરમેન મહિદીપાસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, આ સ્થળે જ્યાં લાઈટના પોલ ઊભા કરાયા હતા તે જગ્યા પોચી હોવાથી અને ફાઉન્ડેશન માટે ઓછું ખોદાણ કરાયું હોતાં
પવનને કારણે પોલ જમીનમાંથી ઉખડવાનું શરૂ થયું હતું. આ તમામ પોલ બે ફૂટ ખાડો ખોદી અને
કોંક્રિટ સાથે ફરી ઊભા કરવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું. એ કામગીરી શરૂ થઈ ગઈ છે
તેમ તેમણે ઉમેર્યું હતું.