અમદાવાદ, તા. 19 (અમારા
પ્રતિનિધિ તરફથી) : ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના એક-એક નિવેદનથી લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે શ્રી મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર 26 અને 27 મે
એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું
26 મેએ ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે રાત્રે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગર
જશે. બીજા દિવસે શ્રી મોદી કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં
હાજરી આપશે. વડાપ્રધાનના પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર,
હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી ગુજરાત અને
પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન
તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા
માતાજીના દર્શન કરવા પહોંચી શકે છે તેવા અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત
શાહ પણ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવીને
ગયા છે.