• રવિવાર, 01 જૂન, 2025

દિલ્હી, સુવર્ણ મંદિર પાકના નિશાને હતાં !

નવી દિલ્હી, તા. 19 : પહેલગામ હુમલા પછી આતંકવાદીઓ ઉપર ભારતના પ્રહાર ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ભારત ઉપર વળતાં હુમલા કરવામાં કોઈ જ સંયમ વર્ત્યો નહોતો અને ભારતને મહત્તમ નુકસાન પહોંચાડવા રાજધાની દિલ્હીથી માંડીને શીખોનાં શીર્ષ પવિત્ર સ્થાન સુવર્ણ મંદિરને પણ હવાઈ હુમલામાં નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. તેના હુમલાને પારખીને ભારતીય સેનાની આધુનિક ડિફેન્સ સિસ્ટમથી રાજધાની દિલ્હી અને શીખોનાં પવિત્ર ધર્મસ્થાન ઉપર હુમલાને વિફળ બનાવી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની પોલ ખોલતો આવો વીડિયો ભારતીય સેનાએ ઉજાગર કર્યા બાદ પાકિસ્તાન હચમચી ગયું હતું અને પાક. વિદેશ મંત્રાલયે ભારત ઉપર હુમલો કરવા શાહીન મિસાઈલ વાપરવામાં આવી હોવાના દાવાને નકારી કાઢ્યો હતો.  ભારતીય સેના દ્વારા આજે એક ડેમો દ્વારા દેખાડવામાં આવ્યું હતું કે, કેવી રીતે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પાક તરફથી કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને નાકામ કરી દેવામાં આવ્યા હતા. કેવી રીતે પાક.ના હુમલામાં પંજાબનાં ધર્મસ્થાન અને નાગરિકોનાં સ્થાનોને સુરક્ષિત રખાયાં હતાં. સેનાએ આ વીડિયોમાં આકાશ મિસાઈલ સિસ્ટમ અને એલ. 70 એર ડિફેન્સ ગનની તાકાત બતાવી હતી. આમાં બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે અમૃતસરમાં સુવર્ણ મંદિર અને પંજાબનાં શહેરોને પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોન હુમલાથી બચાવવામાં આવ્યાં હતાં. સેના તરફથી જારી કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પાક. તરફથી દાગવામાં આવેલી મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. આ વીડિયો બાદ પાકિસ્તાને પરમાણુ સક્ષમ શાહીન મિસાઈલ પણ દાગી હોવાનો દાવો થયો હતો. જો કે, પાકિસ્તાને આ દાવાને નકારી દીધો છે. બીજી તરફ, પંજાબમાં આંતરરાષ્ટ્રીય સીમાએ  તૈનાત એક જવાને જણાવ્યું હતું કે, આઠ-નવ મેની રાત્રે પાકિસ્તાને અચાનક ગોળીબાર કરીને ઘૂસણખોરી કરવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. પાકના એ છીછરા પ્રયાસને પણ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ નાકામ કરી દીધો હતો. અમારા ગોળીબાર સામે સવાર થતાં થતાં પાકની સેના ઘૂંટણિયે પડી ગઇ. દુશ્મનની ભૂમિકા ભજવતા પાકિસ્તાનની સેનાએ તરત જ નમી પડતાં પોતાની ચોકી  પરથી સફેદ ઝંડો લહેરાવી દીધો હતો. ભારતીય સેનાએ `ઓપરેશન સિંદૂર'નો એક નવો વીડિયો પણ જારી કયો હતો, જેમાં દેખાય છે કે, જાંબાઝ જવાનોએ પાકિસ્તાની ડ્રોન કેવી રીતે નષ્ટ કરી દીધાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd