• રવિવાર, 01 જૂન, 2025

પાકે પરમાણુ હુમલાનો કોઇ સંકેત આપ્યો નહોતો

નવી દિલ્હી, તા. 19 : `ઓપરેશન સિંદૂર'ની સફળતાની નોંધ આખી દુનિયાએ લીધી છે ત્યારે આ મહત્ત્વના મિશનમાં પાકિસ્તાનને પછટાડથી માંડીને યુદ્ધવિરામ સહિત ઘટનાક્રમો પર વાત કરતાં દેશના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પાકે પરમાણુ હુમલા અંગેના કોઇ જ સંકેત આપ્યા નહોતા. સંસદીય સમિતિને વિગતો આપતાં મિસરીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશાં પારંપરિક રૂપે જ લડાઇ થતી આવી છે. મિસરીએ સંસદની સ્થાયી સમિતિ સામે સોમવારે સીઝફાયરમાં ટ્રમ્પની ભૂમિકા અને પાકિસ્તાન, તુર્કી સાથે તણાવપૂર્ણ સંબંધ સહિતના ઘણા મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા મુદ્દે ટ્રમ્પના દાવા સાચા નથી તેમજ યુદ્ધમાં માત્ર પારંપરિક હથિયારનો ઉપયોગ થયો હોવાનું કહ્યું હતું તેમજ જયશંકરના નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઓપરેશન સિંદૂરના પહેલા તબક્કા બાદ પાકિસ્તાનને સૂચિત કરવામાં આવ્યું હતું કે, આતંકી છાવણીઓ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન સમિતિએ એક સ્વરમાં મિસરી અને તેમના પરિવાર ઉપર થયેલા સાયબર હુમલાની નિંદા કરતાં સર્વસહમતીથી પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠક દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સમિતિને સંબોધિત કરતાં સીઝફાયર સહિતના મહત્ત્વના મુદ્દા ઉપર પ્રકાશ પાડયો હતો. વિપક્ષે સવાલ કર્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે સાત વખત સંઘર્ષ વિરામમાં મધ્યસ્થતાનો દાવો કર્યો ત્યારે ભારત સરકાર વારંવાર તેમને મંચ ઉપર કેમ પહોંચવા દેતી   હતી ? એક સભ્યએ તો કહ્યું હતું કે, ટ્રમ્પ વારંવાર કાશ્મીરનો ઉલ્લેખ કરે છે તો સરકાર કેમ ચુપ છે. બાદમાં મિસરીએ સમિતિને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પૂરી રીતે દ્વિપક્ષીય સ્તરે થયું છે અને ટ્રમ્પના દાવામાં કોઈ હકીકત નથી. ટ્રમ્પે સીઝફાયર માટે વચ્ચે આવવા કોઈ અનુમતિ લીધી નહોતી. તેઓ ઈચ્છતા હતા એટલે કૂદી પડયા હતા. પાકિસ્તાન મુદ્દે મિસરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 1947થી જ પાકિસ્તાન સાથેના સંબંધો ખરાબ છે. જો કે, બન્ને દેશના ડીજીએમઓ વચ્ચે સતત સંવાદ થતો રહે છે, આ ઉપરાંત વિદેશ સચિવે ઉમેર્યું હતું કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પારંપરિક હથિયાર સુધી જ સીમિત રહ્યો હતો અને પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલો કરવાની કોઈ ધમકી મળી નથી. તુર્કી સાથેના સંબંધો અંગે વાત કરતાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના તુર્કી સાથે ક્યારેય ખરાબ સંબંધ રહ્યા નથી, સાથે ક્યારેય નજીકનું ભાગીદાર પણ નથી રહ્યું. તુર્કી સાથે કોઈપણ સંઘર્ષમાં વ્યાપારનો ઉલ્લેખ મળતો નથી. વિપક્ષે આ દરમિયાન સવાલ કર્યો હતો કે, શું આ સંઘર્ષમાં ચીન નિર્મિત હથિયારોનો ઉપયોગ થયો છે ? જેના ઉપર વિદેશ સચિવે કહ્યું હતું કે, કોણે કેનો ઉપયોગ કર્યો તેનાથી ફરક પડતો નથી. ભારતે પાકિસ્તાની એરબેઝ તબાહ કર્યા છે તે મહત્ત્વનું છે. સભ્યોએ ભારતે કેટલાં વિમાન ગુમાવ્યાં તેવું પૂછતાં વિદેશ સચિવે કહ્યું હતું કે, આ સુરક્ષા સંબંધિત મામલો છે અને તેના ઉપર સાર્વજનિક રીતે કંઈ કહી શકાય નહીં. અમુક સભ્યોએ વિદેશમંત્રી એસ. જયશંકરનાં નિવેદન મુદ્દે સવાલ કર્યો હતો જેના ઉપર સરકારે કહ્યું છે કે, નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂરના પહેલા તબક્કા બાદથી જ પાકિસ્તાનને સૂચિત કરવામાં આવ્યું હતું કે, કાર્યવાહી માત્ર આતંકવાદી છાવણી ઉપર કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd