નવી
દિલ્હી, તા.
11 : ભારત સાથે સંઘર્ષના ત્રણ-ચાર દિવસમાં જ શાહબાઝ
શરીફને પરસેવો છુટવા લાગ્યો હતો. એરબેઝથી લઈને એડબલ્યુએસીએસ એર ડિફેન્સ સિસ્ટમ સુધી
ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને
એટલા ઝટકા આપ્યા છે કે તેની કમર તુટી ગઈ છે. ભારત સાથે ટક્કરથી હજારો કરોડનું
નુકસાન પણ થયું છે અને હથિયાર તેમજ વિમાન બરબાદ થયા છે. એક અહેવાલ અનુસાર ભારત સાથેના
સંઘર્ષ બાદ પાકિસ્તાનને અંદાજીત 7,900 કરોડ
રૂપિયાનું કારોબારી નુકસાન ઉઠાવવું પડે છે. આ ચાર દિવસની અંદર ભારતે પાકિસ્તાનને ચાર
ઝટકા આપ્યા છે. - 11 એરબેઝ-લશ્કરી મથક તબાહ : ભારતીય સેનાએ પાકિસ્તાનના 11 એરબેઝ અને લશ્કરી મથકને તબાહ કર્યા હતા. જેનાથી
પાકિસ્તાની વાયુસેના લાચાર બની હતી. ભારતે જવાબી કાર્યવાહીમાં ચકલાલા એરબેઝ, પીએએફ બેઝ રફીકી, મુરીદ એરબેઝ, સુક્કુર એરબેઝ, સિયાલકોટ
એરબેઝ, પસરુર એરસ્ટ્રીપ, ચુનિયન રડાર સેન્ટર,
સરગોધા એરબેઝ, સ્કાર્દુ એરબેઝ, ભોલારી એરબેઝ અને જેકોબાબાદ એરબેઝને નુકસાન પહોંચાડયું હતું. - પાકિસ્તાનનું એડબલ્યુએસીએસ ધ્વસ્ત : ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની પંજાબમાં
તેના એરબોર્ન વોર્નિંગ અને કન્ટ્રોલ સિસ્ટમ એટલે કે એડબલ્યુએસીએસ યુક્ત વિમાનને પણ
જમીનદોસ્ત કરી દીધું હતું. જેની કિમંત 5845 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પાકિસ્તાનની સેનાને
એક મોટી ઈજા છે. - પાંચ મુખ્ય સહિત 100 આતંકી ઠાર : પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાન અને
પીઓકેમાં નવ આતંકી છાવણીને નિશાન બનાવીને તબાહ કરી હતી. આ ઓપરેશનમાં અંદાજીત 100 આતંકી ઠાર થયાની જાણકારી સામે આવી હતી. જેમાં
મુદસ્સર ખાદિયાન,
હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ અઝહર જેવા પાંચ ટોચના
આતંકી સામેલ હોવાની પુષ્ટી થઈ છે. - આતંકી લોન્ચપેડ બરબાદ : ભારતના ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનની કમર તુટી
ગઈ છે. આતંકી છાવણીઓ ઉપર ભારતીય સેનાએ પ્રહાર કર્યા હતા. આતંકી લોન્ચપેડથી લઈને હેડકવાર્ટર
સુધી ભારતીય હુમલામાં ધ્વસ્ત થયા હતા. તેવામાં હવે એલઓસી નજીક આતંકી લોન્ચ પેડ અને
છાવણીઓ બનાવવામાં લાંબો સમય લાગશે અને પૈસા પણ ખર્ચ થશે.