ભુજ, તા. 9 : જન્મભૂમિ અખબાર જૂથના મુખ્યતંત્રી અને સી.ઇ.ઓ. કુંદન વ્યાસને આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે પદ્મભૂષણ સન્માન એનાયત થતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ગૌરવશાળી ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને અન્ય ટ્રસ્ટીઓએ પ્રતિભાવમાં ગૌરવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ન માત્ર જન્મભૂમિ પત્રો બલ્કે સમગ્ર ગુજરાતી પત્રકારત્વ અને પ્રિન્ટ મીડિયા માટે આ પ્રસંગ ઐતિહાસિક છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ ગૌતમભાઇ ત્રિવેદી, પ્રીતિબેન મહેતા, પ્રણવભાઇ અદાણી અને સંજયભાઇ એન્કરવાલાએ પણ કુંદનભાઇને અભિનંદન પાઠવીને ગૌરવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારોની મૂલ્યનિષ્ઠા અને પ્રજાલક્ષી પત્રકારત્વનું આ સન્માન છે. કુંદનભાઇએ છ દાયકાથી વધુ સમય પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહીને એક જાગૃત પ્રહરી તરીકે સમાજની અને દેશની સેવા કરી છે. તેમના નીડર અહેવાલો અને માર્મિક રાજકીય સમીક્ષાની અખબારી દુનિયામાં નોંધ લેવાતી રહી છે.