ગાંધીધામ, તા. 19 : શહેરમાં
ધાર્મિકવિધિનાં નામે મહિલા પાસેથી રૂા. 14.40 લાખનાં સોનાનાં આભૂષણો ઓળવી
લેવાયાં હતાં. આ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
શહેરમાં વોર્ડ નં. 7/ડી
વિસ્તારમાં રહી બી.એસ. એન્ટરપ્રાઈઝ નામનું ટિમ્બર ચલાવનારા દિનેશકુમાર ભાણજી પટેલે
અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે,
ફરિયાદીના પત્ની ગીતાબેનને
આરોપીએ ધાર્મિક વાતો કરી ખોટા સમયે સોનું આવી ગયું હોવાનું તેની વિધિ
કરવાની વાત કરી હતી તેમજ સોનાની શુદ્ધીકરણ માટે ધાર્મિક વિધિના બહાને ધુતારાએ 36 તોલાના સોનાના દાગીના સેરવી લીધા
હતા. પૂર્વ કચ્છ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી તેમજ એલ.સી.બી. પોલીસે
આરોપીઓની બોલવાની ચાલવાની રીત,
કપડાં વિગેરે માહિતી એકત્રિત કરી
સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનામાં સામેલ
આરોપીઓને પકડી પાડયા હતા. આ
પ્રકરણમાં પોલીસે સાધુ બનાનારા આરોપી તુફાનનાથ ઉર્ફે શેતાનનાથ મીરકાનાથ વાદી, દાદાગુરુ બનનારા આરોપી
જુલાનાથ રૂમાલનાથ વાદી તથા દેવનાથ પોપટનાથ વાદીની ધરપકડ કરી હતી. તહોમતદારો પાસેથી
સોનાના હાર નંગ ત્રણ-વજન 168.960 ગ્રામ, સોનાની બંગડી નંગ
ચાર-વજન 109.520 ગ્રામ, ચાર સોનાની વીટી વજન 25.260 ગ્રામ, સોનાની પાંચ ચેન-વજન 76.830 ગ્રામ, સોનાના બે બ્રેસલેટ તથા એક પોચી-વજન 56.100, 100 ગ્રામનું
સોનાનું બિસ્કિટ કુલ રૂા. 21,46,680 તથા ત્રણ મોબાઈલ ફોન કિં. રૂા. 15 હજાર, મોટરસાઈકલ કિં. રૂા. 15 હજાર, સાધુના ઉપયોગમાં
લેવાતું ધાતુનું કમંડળ સહિતની સામગ્રી
સાથે કુલ રૂા. 21,76,680નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આરોપી સાધુઓ વેશધારણ કરી હાથમાં કમંડળ લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હતા. ઘરમાં એકલી રહેતી મહિલાઓ સાથે ધાર્મિક વાતો
કરી વિશ્વાસમાં લઈને તેમને નડતર હોવાનું
કહી ઘરના આભૂષણને શુદ્ધીકરણના બહાને લઈ
જતા હતા, તેવું
પોલીસે ઉમેર્યું હતું.