• રવિવાર, 01 જૂન, 2025

અંજારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના હાટડાઓ પર કાર્યવાહી જરૂરી

અંજાર, તા. 19 : પોલીસ વિભાગ દ્વારા અંજાર તાલુકાના વિવિધ ગ્રામ્ય તેમજ બાહ્ય વિસ્તારોમાં ધોસ જમાવતી કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ મુખ્યત્વે શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ વેચાતા દારૂના હાટડાઓ ચલાવતા બુટલેગરો પર કેમ રહેમ નજર રાખવામાં આવી રહી છે એવો કટાક્ષ શહેરનો પ્રબુદ્ધ વર્ગ કરી રહ્યો છે. અંજારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે જાણે કોઇ રોકટોક ન હોય તેવું નાગરિકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે. તો બીજીબાજુ પોલીસ તંત્ર એવો રટણ કરે છે કે, જેવી બાતમી મળશે કોઇને નહીં છોડાય. તો શું શહેરમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂ ના હાટડાઓ થી પોલીસ તંત્ર અજાણ છે ? તેવા પણ સવાલો ઊઠયા છે. રૂબરૂ જોનારા જણાવે છે કે શહેરમાં દારૂનો વેપલો કરનારાઓ ને કાયદાનો કોઇ ડર જ નથી જેનો મુખ્ય કારણ પોલીસની હપ્તાખોરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સાથે કચ્છમાં પણ દારૂબંધી છે છતાંય કોઇ એવું ગામ નથી જ્યાં દારૂ નથી મળતો. અંગ્રેજી શરાબની બોટલો મળે છે, તો દેશી દારૂની કોથળીઓ ગમે ત્યારે પિયકકડો ને મળી રહે છે. થોડા દિવસો પૂર્વે શહેરના લુણંગ નગર વિસ્તારમાં ભરબપોરે ચોરીના બે બનાવો બનેલા, જો કે પોલીસ વિભાગ દ્વારા 3-4 દિવસમાં ચોરોને પકડી પાડવામાં આવ્યો. જો નાસતા ભાગતા ચોરોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતું હોય તો રીઢા બુટલેગરો સામે કાર્યવાહી કેમ નથી કરાતી એ યક્ષ પ્રશ્ન છે. જાગૃત નાગરિકોની માનીએ તો બુટલેગરોને પોલીસનો જાણે કોઇ ડર નથી, આ બાબતે પોલીસ તંત્રની નિક્રિયતા અને હપ્તાખોરી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો પોલીસ વિભાગ દ્વારા તટસ્થ રીતે કાયદો વ્યવસ્થાને સુચારૂ કરવાના પ્રયાસરૂપે દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે તો શહેર નો યુવાધન નશાના આ દૂષણથી બર્બાદ થતા બચી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd