ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના નવી દુધઈમાં કરિયાણાની દુકાનમાં ચોરીના કૃત્યને અંજામ આપનારા આરોપીને અંજાર કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. રામદેવ કૃપા કરિયાણા સ્ટોરમાં ગત તા. 28/3ના રાત્રિના 19.30થી તા. 29/3ના સવારે છ વાગ્યા સુધી ચોરીનો બનાવ બન્યો હતો. રોકડ તથા અન્ય સામાન સહિત કુલ રૂા. 4740ની ચોરીના આ મામલે કરશન નાથાભાઈ પટેલ (ગોઠી)એ આરોપી જાકિલશા ઉર્ફે જાબુડો નુરશા ફકીર (રહે. નવી દુધઈ) સામે ગુનો નોંધાવ્યો હતો. આ કૃત્ય સામે આ આરોપીની ધરપકડ બાદ દુધઈ પોલીસે એક અઠવાડિયાના સમયમાં ચાર્ટશીટ કોર્ટમાં રજૂ કરી હતી. અંજારમાં એડિ. ચીફ જ્યુડિશિયલ ન્યાયાધીશ જે.એસ.પરમાર સમક્ષ એક મહિનામાં કેસ ચાલી ગયો હતો. અદાલતે આ આરોપી જાકિલશા ઉર્ફે જાબુડાને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા તથા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યે હતો. ફરિયાદી પક્ષે સરકારી વકીલ એચ.એસ. ચૌધરીએ દલીલો કરી હતી તેમજ તપાસ અધિકારી એમ.એમ. ઝાલાએ એક મહિનાના ટુંકા ગાળામાં તમામ સાહેદો અને પંચોને કોર્ટ સમક્ષ હાજર રખાવ્યા હતા.