યુજીસીએ ભેદભાવ રોકવાનું કારણ આપીને બનાવેલા નવા
નિયમોના અમલને સુપ્રીમ કોર્ટે નિયંત્રિત-સ્થગિત કરી દીધો છે. `જો અમે આમાં હસ્તક્ષેપ નહીં કરીએ, તો સમાજ વિભાજિત થઈ જશે' તેવું કહીને સુપ્રીમ કોર્ટે
સ્ટે આપ્યો છે, સાથે કેટલાક મહત્ત્વના નિર્દેશ આપ્યા છે,
કેટલાક અણિયાળા સવાલ પૂછયા છે. યુજીસી મુદ્દે જે રીતે રાજકીય રંગ પકડી
રહ્યો હતો, એ જોતાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય રાહતરૂપ છે. દેશના
ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં જાતિ આધારિત ભેદભાવ, તેનાથી થતા ગુના
રોકવા માટે યુજીસીએ કેટલાક નિયમ બનાવ્યા હતા. તે અનુસાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
પોતાની સાથે થતા વર્તન-અન્યાય જેવી બાબતે ફરિયાદ કરી શકે તેવી જોગવાઈઓ કરાઈ હતી. 24 કલાકની હેલ્પલાઈન સહિતની સુવિધા ઊભી કરવા તાકીદ કરાઈ
હતી. દેશભરમાં તેનો વિરોધ થયો. સમાજમાં સવર્ણ અને પછાત જેવા ભેદ વધારે ઘેરા બને તેવી
શક્યતા ઊભી થઈ હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના આધારે કોર્ટે આ નિયમો ઉપર
સ્ટે આપી દીધો છે. જેમને અરજી કરતી હતી તેમણે તથા સુપ્રીમ કોર્ટે તો રેગિંગ જેવા પ્રશ્ને
પણ ઘણી ચર્ચા કરી છે, પરંતુ કોર્ટે આ નિયમો અંગે સ્પષ્ટ
કહ્યું છે કે, આવું કરવાથી તો સમાજ વિભાજિત થશે. આ નિયમની જાહેરાત
થઇ ત્યારે પણ અનેક સંશય વ્યક્ત થયા હતા. તેનો અમલ ન કરનાર વિશ્વવિદ્યાલય કે કોલેજની
માન્યતા રદ થવાની પણ જોગવાઇ તેમાં છે એવી દલીલ પણ થઇ કે, જેમ
મહિલા સંબંધિત કાનૂન તથા એટ્રોસિટી એક્ટનો ક્યારેક દુરુપયોગ થાય છે તેવી રીતે આ નિયમનો
દુરુપયોગ તો થશે નહીં ને ? કોર્ટે પણ સુનાવણી સમયે આ બાબત ધ્યાનમાં
લીધી. સુપ્રીમ કોર્ટે સમયસર આ નિયમો ઉપર સ્ટે આપ્યો છે અને દેશના યુવાનોને ઉગ્ર બનતા
અટકાવી દીધા છે તેવું કહી શકાય. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, સ્વતંત્રતાના 75 વર્ષ
પછી પણ આપણે જાતિ રહિત સમાજ કેમ બનાવી શક્યા નથી ? જાતિઓના હોસ્ટેલની
વાત કરવામાં આવી રહી છે તે ન કરવું જોઈએ. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ એવું કહ્યું કે,
અમેરિકામાં શ્વેત અને અશ્વેત વિદ્યાર્થીઓની શિક્ષણ સંસ્થાઓ એક સમયે અલગ
હતી આશા છે આપણે તે દિશામાં ન જઈએ. એક તરફ ગ્લોબલાઈઝેશન વધી રહ્યું છે. આપણે દાવો કરીએ
છીએ કે, આપણે વૈશ્વિક બની રહ્યા છીએ અને બીજી તરફ દેશમાં આવી
વ્યવસ્થા (?) ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. યુજીસીના આ નિયમો
અમલી બની ગયા હોત તો તેના માઠાં પરિણામ ભોગવવા પડત, દેશના વિભિન્ન
વર્ગો વચ્ચે સેતુ સાધવાનું કામ સદનસીબે સુપ્રીમ કોર્ટે કર્યું છે.