આતંકવાદી
પાકિસ્તાન ભારત સામે લડવા માટે દુનિયાના દેશોના સમર્થન અને આર્થિક મદદ માટે ભટકે છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની લોન પણ મળતી નથી, ત્યારે ભારતને સમર્થન અને મદદ સામેથી આવી રહી છે. મંગળવારની
મધરાતે પાકિસ્તાની આતંકી અડ્ડા ઉપર સફળ હુમલા કર્યા તેની ખુશી આપણને થઈ રહી છે,
ત્યારે જ યુકે સાથે `મુક્ત વ્યાપાર કરાર' થયા તે ઐતિહાસિક ઘટના - સિદ્ધિની જાહેરાત થઈ છે. યુકે સાથે
આપણો વ્યાપાર સાત બિલિયન ડોલરથી વધીને 57 બિલિયન ડોલર થયો છે. ટ્રમ્પે વિશ્વબજારમાં ટેરિફ વોર શરૂ કર્યા પછી યુકેની
ચિંતા વધુ હતી અને ભારત સાથેનો વ્યાપાર વધતાં રાહત મળશે. આ ઐતિહાસિક કરાર યોગ્ય સમયે
થયા છે. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ડંકા વગાડવા મથી રહ્યું છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં
મૂડીરોકાણ કરવા આવી રહી છે, ત્યારે ભારતની 99 ટકા નિકાસ ઉપર બ્રિટનમાં બિલકુલ જકાત નહીં હોય.
આમાં ભારતની ટેક્સ્ટાઇલ,
લેધર, ફૂટવેર, રમકડાં ઉપરાંત
જર-ઝવેરાતનો સમાવેશ થાય છે. આ સામે ભારત પણ ચોકલેટ્સ, કૂકીઝ,
વિમાનનાં એન્જિન તથા સ્પેરપાર્ટ્સ વગેરેની આયાત કરશે અને તે જકાત મુક્ત
હશે. આ કરારનાં પરિણામે આપણો નિકાસ વ્યાપાર વધારવા માટે ઉત્પાદન વધશે અને રોજગારી પણ
વધશે. વાસ્તવમાં ભારતના અર્થતંત્રમાં એક મોટું જમાપાસું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર
આ બે રાષ્ટ્ર વચ્ચે માત્ર વેપાર સંધિ જ નથી, બલ્કે વૈશ્વિક ભૂરાજનૈતિક
અને આર્થિક વ્યવસ્થામાં ભારત તથા બ્રિટન વચ્ચેના સહયોગ માટે એક નવા યુગની શરૂઆત છે.
તે માટે વર્ષોની વાતચીત, ટેકનિકલ ચર્ચાઓ અને રાજનૈતિક દૃઢ સંકલ્પને
શ્રેય જાય છે. જાણકારો કહે છે કે, આ કરારથી દ્વિપક્ષીય વ્યાપારને
વેગ મળશે ઉપરાંત સ્કોચ, વ્હીસ્કી, લકઝરી
કાર અને દવાઓની આયાત-જકાતમાં ક્રમાનુસાર કાપ મૂકવામાં આવશે. એવી જ રીતે બ્રિટન ભારતીય
કાપડ, હીરા-આભૂષણો, કૃષિ ઉત્પાદનો તેમજ
આઇટી સેવાઓ માટે ઓછા દરે દરવાજા ખોલશે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને શરાબનાં સેવનને સામાજિક
દૂષણ માનવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય પરીપ્રેક્ષ્યની
વાત કરીએ તો સ્કોચ, વ્હીસ્કી પર અત્યારે 150 ટકા જકાત છે, જે આગામી 10 વર્ષમાં ક્રમાનુસાર ઘટીને 40 ટકા થઇ જશે. એવી જ રીતે કાર પર 100 ટકા જકાતને ઘટાડીને 10 ટકા કરી દેવાશે. આમ ભારત અને બ્રિટન બંને દેશનાં ઉત્પાદનોના બજારને વેગ મળવાની
સંભાવના છે. એક મહત્ત્વની વાત એ છે કે, આ સમજૂતી માત્ર વેપાર કે ચીજવસ્તુઓ પૂરતી સીમિત નથી. ભારતીય
વ્યવસાયકારો જેવા કે શેફ, યોગ પ્રશિક્ષક, સંગીતકાર અને આઇ.ટી. નિષ્ણાતો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. તેવી
જ રીતે ભારતીય પ્રવાસી શ્રમિકોને સામાજિક સુરક્ષા કરમાં ત્રણ વર્ષની છૂટછાટ આપવાની
જોગવાઇ છે, જેથી તેમનો પગાર વધી જશે. બ્રિટન બ્રેકિઝટ પછી પોતાની
વૈશ્વિક આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. બીજી તરફ ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ
હબ બનવાની દિશામાં અગ્રેસર છે એવા સમયે આ સમજૂતી બંને દેશ માટે રણનૈતિક દૃષ્ટિએ પણ
ખૂબ લાભકારી બની રહેવાની સંભાવના છે. ભારતીય નિકાસકારોની બ્રિટનની મોંઘી બજાર સુધી પહોંચવાની તક ઊભી થઇ છે. એવી જ
રીતે વિશ્વની સૌથી મોટી બજાર ધરાવતા અને યુવાઓથી
શોભતા ભારતમાં બ્રિટિશ કંપનીઓને ઘણો ફાયદો મળી શકશે. મુક્ત વ્યાપાર સમજૂતી બે મહાન
લોકતંત્રના આર્થિક સંબંધો વધુ દૃઢ બનાવશે.