- દીપક માંકડ (તંત્રી) : `પહેલગામની બર્બરતાપૂર્ણ કાર્યવાહી કરનાર આતંકના આકાઓને એવો પાઠ
ભણાવાશે કે તેની કદી કલ્પનાયે નહીં કરી હોય.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઉચ્ચારણો પછી પાકિસ્તાનનો જીવ તાળવે ચોંટેલો હતો
અને મંગળવારની મધરાત બાદ ભારતીય સેનાએ મર્મભેદી પ્રહાર કરી દીધો. આતંકના નવ અડ્ડા નેસ્તનાબૂદ
કરતાં દેશભક્ત લોકોની આંતરડી ઠરી છે. સૈન્ય ઉપર સૌ કોઇ ગર્વ અનુભવી રહ્યા છે. જય હિન્દ,
જય હિન્દ કી સેનાનો નારો ગુંજી રહ્યો છે. આવા સમયે સરહદી વિસ્તારનો માહોલ
જુદો હોય છે. કચ્છ દેશના પશ્ચિમ છેવાડાનો જિલ્લો. ત્રણ યુદ્ધનો અનુભવ ધરાવે છે. અહીંની
રાષ્ટ્રભક્ત જનતાની રગોમાં નરબંકા જવાનો જેવું ગરમ લોહી દોડે છે. ધરતીકંપ જેવી કુદરતી
આપદા વખતે પણ ખુમારીથી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. ભૂકંપ અને રણસંગ્રામ તદ્દન ભિન્ન
છે. ધરતીકંપના આફ્ટરશોક વખતે લોકોએ ઘરની બહાર ખુલ્લામાં દોડી જવું પડતું... ને યુદ્ધ
હુમલા કે વિમાની હુમલા વખતે ઘરની અંદર કે સલામત-મજબૂત છત નીચે જતા રહેવાનું હોય છે.
કચ્છની જૂની પેઢી આ બધું જાણે છે, પણ સોશિયલ મીડિયા પરના યુદ્ધના
માહોલની ઉત્તેજના અનુભવતી આજની પેઢીએ સીમા વિસ્તારની સંવેદનશીલતા, તકેદારીથી વાકેફ રહેવું જરૂરી છે. વિવિધ તંત્ર દ્વારા કરાયેલી મોકડ્રિલને ગંભીરતાથી
લેવાય એ જરૂરી છે, એ સાથે આત્મસંયમે જાળવવો અગત્યની વાત છે. સરહદ
તરફના રસ્તાઓ પર અથવા તો કચ્છના સંવેદનશીલ સ્થાનકોએ સુરક્ષા સંબંધિત ગતિવિધિને મોબાઇલમાં
કંડારીને વાયરલ કરવાની ગંભીર ભૂલ રખે કરતા... આવી બાબતો જાહેર હોવા છતાં તેને વાયરલ
કરવાથી દૂર રહેવું જોઇએ. એ ઉપરાંત અફવાઓને કાને ધરીને ઉતાવળિયાં પગલાં લેવાનું પણ ટાળવું
જોઇએ. ભારતના જાંબાઝ જવાનોના `ઓપરેશન સિંદૂર' પછી બંને દેશની સીમાઓ પર ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. ગમે તે ઘડીએ કંઇપણ
થઇ શકે એવામાં તંત્ર દ્વારા કરાયેલી અપીલ, તકેદારીનાં પગલાંને
અનુસરવું એ નાગરિકોનું કર્તવ્ય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ઇતિહાસ સંઘર્ષભર્યો
અને દુશ્મનાવટભર્યો રહ્યો છે. સીમાવર્તી કચ્છ તેનું સાક્ષી રહ્યું છે. કાશ્મીર મુદ્દાને
વારંવાર ઉઠાવીને આક્રમક વલણ લેતા પાકને હંમેશાં પરાજયની ધૂળ ચાટવી પડી છે. 1965માં તેણે આવું જ દુ:સાહસ કર્યું
અને તેમાં ભારે ખુવારી વેઠવી પડી હતી. તે સમયે જનરલ અયુબખાનના વ્યૂને રફેદફે કરવામાં
ભારતીય જનરલો અને જવાનોની સફળતાનો આજે પણ દાખલો અપાય છે એ '65ના જંગનો
પ્રથમ ભાગ કચ્છ સરહદે ખેલાયો હતો અને પ્રથમ શહીદી પણ આપણા રણમાં થઇ હતી. સી.આર.પી.એફ.ના
જવાનોએ ટાંચાં સાધનો સાથે સરહદી ચોકી પર પાક ફોજનો હુમલો મારી હટાવ્યો હતો. કચ્છ જેવા
સીમાવર્તી જિલ્લામાં યુદ્ધ જેવા માહોલ વખતે નાગરિક સંરક્ષણની ભૂમિકા મહત્ત્વની છે.
1965 અને 1971માં લોકો સ્વયંભૂ આપણી ફોજને
બિરદાવવા અને શિસ્તના પાલન માટે નીકળી આવતા. સ્વયંસેવકોની ટુકડી રચાતી, હોમગાર્ડઝનીય કામગીરી નોંધપાત્ર હતી. આજની પેઢીએ
દેશ પ્રત્યેનું કર્તવ્ય સમજીને હોમગાર્ડ, એનસીસી જેવી પ્રવૃત્તિમાં
સક્રિય ભાગ લેવો જોઇએ. નાગરિક સંરક્ષણની તાલીમે લેવી જોઇએ. આખરે આ બધું વ્યક્તિત્વ
ખીલવવાની સાથે દેશ માટે પણ કામ લાગશે. ઓપરેશન સિંદૂર પછી આગામી દિવસો કેવા હશે એ પાકિસ્તાન
પર નિર્ભર છે, પણ કચ્છના લોકોએ આંખ-કાન ખુલ્લા રાખીને સજાગ,
સતર્ક રહેવું અતિજરૂરી છે. સીમાવર્તી દુર્ગમ ગામડાંમાં કોઇપણ અણછાજતી
પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસતંત્રનું ધ્યાન દોરવું જોઇએ. ભારતીય ફોજે `કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન'ના મંત્રનો મહિમા પાકિસ્તાનને સમજાવ્યો છે. આપણા
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે ચોખ્ખા શબ્દોમાં
કહ્યું છે... પાકિસ્તાનનું શું થશે એનો જવાબ તેમના હાથમાં છે અને આપણા નરબંકા જવાનોના
હાથ વાર કરવા સળવળી રહ્યા છે. આ સ્થિતિમાં કચ્છીઓએ, કચ્છના લોકોએ
દેશાભિમાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને નાગરિક ફરજ માટે પ્રતિબદ્ધ રહેવાનું છે. જય
હિન્દ.