મુંબઈ, તા. 19 : આવતીકાલે પરંપરાગત હરીફ મુંબઈ
અને ચેન્નાઈ ટકરાશે. ચેન્નાઈએ ફોર્મવાપસી કરી
છે પણ મુંબઈ સામે જીતનો લય યથાવત રાખવા રણનીતિ બદલવાનો પડકાર રહેશે. મુંબઈએ શરૂઆતી
મેચોની નિરાશા પાછળ છોડતા છેલ્લી બે મેચમાં દિલ્હી અને હૈદરાબાદ સામે જીત સાથે સારી
વાપસી કરી છે. હાર્દિક પંડયાની આગેવાનીની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમાંકે છે અને
વર્તમાન સત્રમાં જીતની હેટ્રિક સાથે પહેલી મેચમાં ચેન્નાઈ સામે મળેલી હારનો બદલો લેવા
ઈચ્છશે. રોહિત શર્મા હજી સુધી મોટો સ્કોર કરી શક્યો નથી. તિલક વર્મા અને સૂર્યકુમાર
યાદવનાં પ્રદર્શનમાં નિરંતરતા ઓછી રહી છે પણ રયાન રિકેલ્ટન સારું યોગદાન આપી રહ્યો
છે. ચેન્નાઈએ ગઈ મેચમાં લખનઉ સુપર જાયન્ટસ સામે પાંચ વિકેટે જીત સાથે સતત પાંચ હારના
સિલસિલાને તોડયો હતો પણ બેટિંગ હજી નબળી છે. નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે
બહાર થયા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન તરીકે વાપસી થઈ છે.