નવી દિલ્હી, તા.28: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલ દરમિયાન ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થશે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આજે આ જાણકારી આપી હતી. બીસીસીઆઇએ વિશ્વ કપના આયોજન માટે રાજકોટ સહિત એક ડઝન શહેર પસંદ કર્યાં છે. હવે આઇસીસી વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરશે. ડબ્લ્યૂટીસી ફાઇનલ 7થી 11 જૂન ઇંગ્લેન્ડમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર વન ડે વર્લ્ડ કપમાં 10 ટીમ રમશે. જેનો પ્રારંભ પ ઓક્ટોબર અને સમાપન 19 નવેમ્બરે થશે. 46 દિવસની આ ટુર્નામેન્ટમાં ત્રણ નોકઆઉટ મેચ સહિત કુલ 48 મેચ હશે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, કોલકતા, હૈદરાબાદ, લખનઉ, ઇન્દોર, મુંબઇ અને તિરૂવનંથપૂરમ આયોજન સ્થળ તરીકે નક્કી થયા છે. નાગપુર અને પૂણેમાં અભ્યાસ મેચ રમાશે.