નખત્રાણા, તા. 9 : આંબા (કેરી)ની અગાઉની દેશી
જાતોમાંથી સંશોધન થયેલી કેસર કેરીના મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર પછી કચ્છ ગણાય છે. કેરી
ઉત્પાદનનું હબ ગણાતા આ પંથકમાં ધૂમ આવકે ભાવોમાં
કડાકો બોલાવ્યો છે. પ્રતિ વર્ષ ત્રણ-ચાર
નવા સ્થાપિત કેસર કેરીના બગીચાઓ ઊભા થવાના કારણે કેરીની પેદાશ અને નિકાસ ક્ષેત્રે કચ્છના
બારડોલી ગણાતા નખત્રાણા તાલુકાની બોલબાલા વધી છે. મોસમના મિજાજ મુજબ પેદાશમાં થતી વધઘટના
હિસાબે બાગાયતી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધાર-ઉધાર નોંધાતા હોય છે. ચૈત્રનો કમોસમી
વરસાદ, વેગીલો પવન અને ઝાકળિયાં હવામાનથી કેરીના ફાલનો
કુલ જથ્થો 30-40 ટકા નોંધાયો
હતો, પરંતુ નવા વિસ્તરતા બગીચામાં જરૂરિયાતથી વધુ પેદાશ નોંધાઇ છે. ચારેક વર્ષ અગાઉ બેરૂ ગામની 20 એકર સીમની વાડીમાં હજારથી વધુ
તલાલા ઉત્તમ જાતની કેરીનાં વૃક્ષોનો પ્રથમ ફાલ ચાલુ વર્ષે સારા પ્રમાણમાં મેળવનારા
ખેડૂત છગન માવજી નરસેંગાણીએ સ્વાવલંબી બનવા પ્રયત્ન કર્યા છે. છેલ્લા થોડા દિવસનું
વિષમ વાતાવરણ, લૂ-ગરમીના કારણે કેરીનાં
વૃક્ષોમાં ઝડપથી ફળો પાકતાં બજારમાં ધૂમ આવક થતાં ભાવોમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. બજારમાં 5ાંચ અને 10 કિલોના બોક્સ પેકિંગમાં 600થી 700 બોક્સ વેંચાઇ જાય છે અને આવનારા
દિવસોના વિપરીત હવામાન ન વર્તાય, તો કેસર
કેરી વિક્રેતા માટે ઘી-કેળા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.