કેરા, તા. 10 : છેલ્લા લાંબા સમયથી ઓવરલોડ
વાહનોના ધમધમાટનાં કારણે હાલાકી વેઠતા બળદિયા, ઝુમખા અને વડઝરના ગ્રામજનોએ આજે ચક્કાજામ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોએ ચક્કજામ કરતાં રોડની બન્ને બાજુ ડમ્પર સહિતના ભારે વાહનોના થપ્પા લાગી ગયા
હતા. જ્યાં સુધી સમસ્યાનો કાયમી નીવેડો નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ ચાલુ રખાશે,
તેવી સ્પષ્ટ ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.દરરોજ ભારે વાહનોની
અવરજવરના લીધે રસ્તો ધૂળમય બનવા સાથે બિસમાર હાલતમાં ફેરવાયો છે. વળી ઓવરલોડ વાહનોનાં
પરિવહનનાં કારણે અકસ્માતની ઘટના ઘટવી રોજિંદી બની છે. ચક્કાજામ કરી પોતાનો આક્રોશ વ્યક્ત
કરનાર આ વિસ્તારના સરપંચો સહિત અન્ય જાગૃત ગ્રામજનોએ એવો સવાલ ઉઠાવ્યો કે, શું તંત્રવાહકો ગંભીર અકસ્માતની ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. જીવલેણ અકસ્માતની
ઘટના સર્જાયા બાદ જ તંત્ર પગલાં ભરશે, તેવું કટાક્ષમાં ગ્રામજનોએ
જણાવ્યું હતું. સંબંધિત ગામના જાગૃત નાગરિકોએ એવો બળાપો ઠાલવ્યો કે, ઔદ્યોગિક ધમધમાટનાં કારણે ઓવરલોડનું દૂષણ વધ્યું છે. નાણાકીય ગેરરીતિ આચરી
આવા ઓવરલોડ વાહન પરિવહનકર્તાઓએ તંત્રવાહકોને સાધી લીધા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો
હતો. સેડાતા બાયપાસનાં નામે કરોડો રૂપિયાનું આંધણ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે ખાણ- ખનિજ
વિભાગ, આર.ટી.ઓ. તંત્ર શા માટે કોઈ કામગીરી કરતું નથી,
તેવો સવાલ ગ્રામજનોએ ઉઠાવ્યો હતો. સ્થાનિકોએ બળદિયા, ઝુમખા માર્ગ પર ચક્કાજામ કરતાં સેંકડો વાહનોનાં પૈડાં થંભી જતાં ગાડીઓના થપ્પા
લાગી ગયા હતા. આ ગામોની મૂળભૂત સમસ્યાનાં સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.
કે. હુંબલ સહિતે ચક્કાજામ આંદોલનને સમર્થન જારી કર્યું હતું. આ પ્રસંગે શ્રી હુંબલે રોષપૂર્વક જણાવ્યું કે,
સ્થાનિકો બળદિયા, ઝુમખા, વડઝરના લોકોએ અવારનવાર લેખિત- મૌખિક પ્રતિનિધિ મંડળ સ્વરૂપે, સ્થાનિક પંચાયતો-સરપંચોએ અવારનવાર રજૂઆતો છતાં યોગ્ય ન કરતાં આખરે ચક્કાજામ
કરવું પડે તે ખૂબ જ દુ:ખદ બાબત છે. તેઓએ પ્રાંત અધિકારી-ભુજ, આર.ટી.ઓ. - કચ્છ તથા ખાણ-ખનિજ વિભાગને જાણ કરી તરત ઉકેલ લાવવા માંગ કરી હતી.
સોમવારના જિલ્લા કલેક્ટર આર.ટી.ઓ.ને રૂબરૂ મળી રજૂઆતો કરાશે અને કેરાના સીમાડામાંથી
બાયપાસ રોડ બનાવી અને બળદિયા, ઝુમખા, વડઝરના
ગ્રામજનોને ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી, એવું કચ્છ જિલ્લા
કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.