• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

લખપત તાલુકામાં સ્વખર્ચે તળાવ ઊંડાં કરનારાં ટ્રસ્ટોએ ખનિજચોરીમાં લાખો રૂપિયાના દંડ ભર્યા

વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 2 : કોઈ સંસ્થા અન્ય કોઈ સેવાકીય કાર્યોમાં સખાવત ન કરી હોય તેવી સંસ્થાઓ લખપત તાલુકામાં સ્વખર્ચે તળાવ બનાવી દે તે નવીનતાની વાત છે અને સરકારી વિભાગો મંજૂરી આપે જેની આડમાં કરોડો રૂપિયાનું બેન્ટોનાઈટ ઊપડી જાય ત્યારે તંત્ર જાગે, દંડ કરે, ફરીથી એ ટ્રસ્ટ તળાવ બનાવવા આવે, ફરીથી દંડ થાય, આવો વહીવટ કચ્છના લખપત તાલુકામાં કાર્યરત છે. લખપત તાલુકામાં મૂરચબાણ, જુલરાઈ, ખડક સામજિયારા, આશાલડી વિસ્તારમાં ખનિજચોરીના ઈરાદે તાલુકા વિકાસ અધિકારી, નાયબ ઈજનેર (સિંચાઈ)નો તળાવ ઊંડા કરવાનો પત્ર મેળવી સ્થાનિક સરપંચ, તલાટી કે બે-ત્રણ આગેવાનને રાજી કરી કિંમતી ખનિજ બેન્ટોનાઈટ, બોક્સાઈટનો મોટો જથ્થો તળાવ ખાણેતરાંનાં નામે ઉપાડી લેવાય છે અને રાત્રે ભારે વાહનોમાં લોડ કરી ગંતવ્યસ્થાને જથ્થો પહોંચી જાય છે, જેમાં મોટી સાંકળ ગોઠવાયેલી છે. ખાણ-ખનિજ ખાતું એકાદ-બે કેસ પકડે છે, પરંતુ થોડા જ દિવસમાં બધું ફરીથી ધમધમે છે. તાજેતરમાં જુલરાઈ તથા સાયણ ગામના અગ્રણીઓએ આવેદનપત્ર પણ આપ્યું હતું...!

ટ્રસ્ટોને ખનિજચોરીના દંડ

જે ટ્રસ્ટોનાં નામ ન સાંભળ્યા હોય તેવા ટ્રસ્ટો તેમાંય બેન્ટોનાઈટ અને બોક્સાઈટ ખનિજ વિસ્તારમાં જ તળાવ ઊંડાં `સ્વખર્ચે' શા માટે કરે છે ? તે પ્રશ્ન છે. તાલુકાના અન્ય વિસ્તારમાં કેમ નહીં ? સ્થાનિક વહીવટતંત્ર પણ મંજૂરી આપી તપાસ કેમ નથી કરતું તે પણ પ્રશ્ન છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે, જેમાં પશ્ચિમ કચ્છ નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટને તા. 27/6/25ના હુકમથી 1,03,18,830નો દંડ કરાયો છે, તો મૂરચબાણ સર્વે નં. 182માં યદુનંદન કન્સ્ટ્રક્શન પર એલ.સી.બી. દ્વારા દરોડો પાડી તા. 22/6/25ના હુકમથી 26,89,410ની રકમનો દંડ કરાયો છતાં ખનિજચોરી ચાલુ રાખતાં યદુનંદન કન્સ્ટ્રક્શને (સર્વોદય વિકાસ ટ્રસ્ટ)ના પેટામાં વર્ક ઓર્ડર લઈ કામ ચાલુ કર્યું અને ગેરકાયદેસર બેન્ટોનાઈટ ચોરીમાં ઝડપાયા. મૂરચબાણ સર્વે નં. 150માં ખાણ-ખનિજના દરોડા તા. 15/7/25ના અને તા. 16/7ના હુકમની 13,31,843નો દંડ કરાયો હતો. આ ઉપરાંત જુલરાઈ, આશાલડીની સીમમાંથી પણ ખનિજચોરી પકડાઈ અને દંડ કરાયો. આ ટ્રસ્ટોએ રકમની માંડવાળ કરાવી દંડ ભરી પણ દીધો, છતાં સ્વખર્ચે તળાવ ઊંડા શા માટે કરવા માગે છે ? સ્વખર્ચે તળાવ ઊંડા કરવામાં આ ટ્રસ્ટોને કરોડોની કમાણી છે અને ખનિજચોરીનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. ફક્ત દંડ શા માટે ? કાર્યવાહી થવી જોઈએ.

ખાણ-ખનિજ કચેરી 150 કિમી દૂર

મૂરચબાણ, કોટડા, કલરાવાંઢના સીમાડામાં વાહન પહોંચવું મુશ્કેલ છે અને ભુજ 150 કિ.મી.ના અંતરે હોતાં ખાણ-ખનિજ કચેરીના દરોડા પડે તે પહેલાં બધું પૂરું થઈ જાય છે. સામાજિક અગ્રણી રમેશભાઈ બલિયા કહે છે કે, પોતાના દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી મુખ્ય મથક દયાપર ખાતે ખાણ-ખનિજ દ્વારા એક મોબાઈલ ચેકપોસ્ટ ચાલુ કરાય, જેથી ખનિજમાફિયાઓ પર નજર રાખી શકાય. ભુજથી દયાપર અઢી કલાકનો રસ્તો હોવાથી ખનિજમાફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

ખાણ-ખનિજ કચેરીનો કડક આદેશ

લખપત તાલુકામાં થઈ રહેલ ખનિજચોરી બાબતે તાલુકાના વિકાસ અધિકારી તથા મામલતદારને તા. 11/11/2025વાળા પત્ર નં. 8495થી સ્પષ્ટ આદેશ અપાયો છે કે, તાલુકા લેવલે સમિતિની રચના કરાઈ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારીને સભ્ય તરીકે તથા મામલતદારને સભ્ય સચિવ તરીકે તા. 17/1/2011ના ઠરાવથી નિયુક્તિ કરવામાં આવી છે. ખનિજનું ગેરકાયદેસર ખોદકામ / વહન કે સંગ્રહ થાય તેવી પ્રવૃત્તિમાં સ્થાનિક આ બન્ને અધિકારીનું ઉત્તરદાયિત્વ નક્કી કરાયું છે, જેથી યોગ્ય તપાસ કરવા કડક આદેશ ભૂસ્તરશાત્રી દ્વારા અપાયેલા છે.

સિંચાઈ વિભાગના ના.કા.ઈ.ને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા પુછાણું

ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક દ્વારા પત્ર નં. 150 તા. 24/5/2024ના લખપત તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની મંજૂરી કયા નિયમ હેઠળ અપાઈ? મંજૂરી પહેલાં લાગતા વળગતા અન્ય વિભાગોની પૂર્વ મંજૂરી કેમ ન લેવાઈ તે બાબતે પત્ર દ્વારા પુછાણું લેવાયું હતું. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો દ્વારા આવી રીતે ટ્રસ્ટ બનાવી સિંચાઈ વિભાગ પાસેથી સ્વખર્ચે તળાવ ઊંડું કરવાના બહાને મંજૂરી મેળવી ખનિજચોરીનું ષડયંત્ર ચલાવી રહ્યા છે. તળાવો મંજૂર કરતા પહેલા વિસ્તાર ખનિજસભર છે કે નહીં? તે પણ જોવામાં આવ્યું નથી.

કાયદો શું કહે છે?

ગેરકાયદેસર કિંમતી ખનિજ ઉત્ખનન કે સંગ્રહ કરતા તત્ત્વો માટે દંડની કાર્યવાહી છે. મશીનરી જપ્ત કરી શકાય છે. ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) દ્વારા 2017ના 12 (2)ના (બી-2) મુજબ ગેરકાયદેસર ખનિજમાં વપરાતાં વાહનોને રાજ્યસાત કરવા અંગેની કાર્યવાહી પણ થઈ શકે છે. દંડની રકમમાં છેલ્લે માંડવાળ કરી સમાધાનની રકમ ભરપાઈ કરવા સહમત કરાય છે.

પાણીની આવ નથી તો પણ તળાવ મંજૂરી

બે વર્ષથી તળાવ ઊંડા સ્વખર્ચે કરનાર ભૂમાફિયાઓ દ્વારા સુનિયોજિત ખનિજચોરીનું ષડયંત્ર ચાલુ છે. કોઈ તપાસ માટે આવે તો તેને તળાવ ઊંડાં કરવાની મંજૂરીનો પત્ર બતાવી દેવાય છે. નવીનતાની વાત એ છે કે, સિંચાઈ ખાતું મંજૂરી આપે પણ કોટડા (મઢ) ગ્રા.પં.ને તા. 19/4/2025ના પત્રથી તાલુકા વિકાસ અધિકારીએ  પણ લેખિત મંજૂરી આપી છે..! મૂરચબાણ સર્વે નં. 167માં તા. 19/4/25ના પત્રથી મંજૂરી તા.વિ. અધિકારીએ આપી છે, મતલબ વ્યવસ્થિત રીતે ખનિજ માફિયાઓએ ષડયંત્ર ચલાવ્યું છે. મેઘપરના આરટીઆઈ કાર્યકર રમેશભાઈ બલિયાએ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં સ્થાનિક અધિકારીઓ, સરપંચો, તલાટી વગેરેની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી સંપૂર્ણ કૌભાંડોની તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરવા માંગ કરી છે. ટૂંકમાં, લખપત તાલુકામાં રાત્રિ વચ્ચે બેન્ટોનાઈટ, બોક્સાઈટ, સાદી માટી, રેતી સહિત પુષ્કળ ખનિજચોરી થઈ રહી છે. સામાન્ય મકાન બનાવવા વપરાતી રેતીનું ટ્રેક્ટર પકડાય છે, પણ કરોડોના કિંમતી ખનિજ રાતોરાત સગેવગે પણ થાય છે. જ્યાં-ત્યાં ખોદકામ થતાં પશુધનને પણ મુશ્કેલી થાય છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ-ગાંધીનગરના તા. 19/9/14ના ઐતિહાસિક ઠરાવમાં ખનિજચોરી પકડવા કોની જવાબદારી

ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક એમસીઆર/102014/1574/6 તા. 19/9/2014ના ઠરાવ મુજબ સરકારી મંજૂરી કે પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ વાહન, સંગ્રહ બાબતે પ્રાથમિક જવાબદારી ગામના તલાટી કમ મંત્રી, રેવન્યૂ તલાટી અને સરપંચની દર્શાવાઈ છે અને  જે ગામમાં ગેરકાયદેસર ખનિજચોરી થતી હોય તે ગામના તલાટી કમ મંત્રી, રેવન્યૂ તલાટી તથા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પંચાયત અધિનિયમની કલમ 57 (1) મુજબ સરપંચને પદથી દૂર કરવાની કાર્યવાહીનો ઉલ્લેખ છે તેમજ સરકારી જમીન મામલતદાર, ગૌચર જમીનમાં તાલુકા વિકાસ અધિકારી, જંગલ વિસ્તારમાં આરએફઓ, સિંચાઈ હેઠળના વિસ્તારમાં નાયબ કાર્યપાલક ઈજનેરની જવાબદારી આ પરિપત્રમાં બતાવાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ વિવિધ વિભાગોને તા. 27/5/2022ના પત્રથી ખનિજચોરીના જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્ર લખવાના બદલે સત્તા પ્રમાણે કાર્યવાહી કરવા જણાવાયું છે.

તપાસ ટીમના સર્વેયર દ્વારા માપણી મુજબ ગેરકાયદેસર ખનિજચોરીની વિગત

સર્વે નં.  ગામ       ખનિજ         જથ્થો

130         મૂરચબાણ            સાદી માટી          1.876 મે.ટન

130         મૂરચબાણ            બેન્ટોનાઈટ          641.72મે.ટન

174         મૂરચબાણ            જૂનું ખોદકામ       4257.14 મે.ટન

179         મૂરચબાણ            સાદી માટી           8138.31 મે.ટન

179         મૂરચબાણ            બેન્ટોનાઈટ          11058.36 મે.ટન

168         મૂરચબાણ            સાદી માટી           7626.94 મે.ટન

168         મૂરચબાણ            બેન્ટોનાઈટ          9783.52મે.ટન

દંડની રકમ તથા ખનિજચોરીની માહિતી

ખનિજ                    પાર્ટીનું નામ                                         ભરેલ દંડની રકમ

સાદી માટી/બેન્ટોનાઈટ  યદુનંદન કન્સ્ટ્રક્શન                                         85,34,436            

પર્યાવરણ વળતર પેટે    યદુનંદન કન્સ્ટ્રક્શન                                         17,84,394

સાદી માટી/બેન્ટોનાઈટ  યદુનંદન કન્સ્ટ્રક્શન                                         23,33,408

પર્યાવરણ વળતર પેટે    યદુનંદન કન્સ્ટ્રક્શન                                         3,50,002              

બેન્ટોનાઈટ                          કાનજીભાઈ મમુભાઈ સંઘાર                           11,86,152

પર્યાવરણ વળતર પેટે    કાનજીભાઈ મમુભાઈ સંઘાર                          1,45,691 

Panchang

dd