• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

પાઠયપુસ્તકોમાં ઝારાનો ઈતિહાસ સમાવવા માંગ

દયાપર (તા. લખપત), તા. 1 : વિ.સં. 1819માં કચ્છરાજ અને સિંધના ગુલામશા કલોરો વચ્ચે જ્યાં ભંયકર યુદ્ધ થયું હતું અને હજારો યોદ્ધાઓએ શહીદી વહોરી તે ઐતિહાસિક ઝારા ડુંગર પર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત 25મો ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટય કરતા જગજીવનદાસજી મહારાજ (બિબ્બર), કલ્યાણદાસજી બાપુ (હિંગરિયા) અને રાજનગિરિ મહારાજ (અમિયા)એ આશીર્વચન આપ્યા હતા. જગજીવનદાસજી મહારાજે બિબ્બરમાં પણ ઝારાના શહીદોન પાળિયા છે જે હવે પણ બનાવાશે, તેવું કહ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષપદેથી રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, યુવા સંઘ દ્વારા વડવાઓના ઈતિહાસને જીવંત રખાયો છે અને 25 વર્ષથી પરંપરા જાળવી રાખવાનાં કાર્યને પ્રસંશનીય લેખાવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે રાજાશાહી નહીં પણ લોકશાહી છે. ટાંટિયાખેંચ છોડી એકબીજાને સહયોગ કરી સમાજને આગળ લઈ આવવા અપીલ કરી હતી. રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય ખુશવીરસિંહ જોજાવરે પાઠયપુસ્તકોમાં ઝારા ડુંગરનો ઈતિહાસ આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. બ્રહ્મસમાજના પૂર્વ જિલ્લા અને કચ્છ ઈતિહાસ પરિષદના વિશ્વનાથ જોષીએ પ્રાસંગિક પ્રવચનમાં ઝારા ડુંગર પર 700 બ્રાહ્મણે પણ બલિદાન આપ્યાં છે, જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય તે સમાજ નષ્ટ થાય છે, તેમ જણાવી યુવા સંઘ દ્વારા પરંપરા જળવાઈ રહી છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રમુખ જનકસિંહ જાડેજાએ જિ.પં. દ્વારા એક ગ્રાન્ટ આવવાની બાકી છે જો મળશે તો જે પણ વિકાસનાં કામ બાકી રહ્યાં છે તે કરી દેવા ખાતરી આપી હતી. જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, બી.એસ.એફ.ના આઈ.જી. યોગેન્દ્રસિંહ રાઠોડ, સહકારી આગેવાન જશવંતભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા (ભચાઉ), રાજપરિવારના સદસ્યો, તાલુકા ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જેતમાલજી જાડેજા, તા.પં.ના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા (માતાના મઢ), વેરશલજી મોડજી તુંવર, તા.પં.ના પૂર્વ કા. ચેરમેન દેશુભા જાડેજા, જશુભા જાડેજા, સ્વરૂપસિંહ સોઢા, પ્રવીણસિંહ ઝાલા (સીતાપુર), રમજુભા, દેવુભા જાડેજા, જેઠુભા જાડેજા, પૂંજાજી જાડેજા, રતનજી જાડેજા, ઘડુલી અગ્રણી નીતિનભાઈ રૂડાણી, મનુભા જાડેજા, સુરુભા જાડેજા (ના. સરોવર), મહેન્દ્રસિંહ જાડેજા, માનસંગજી જાડેજા, જામનગર, મોરબી, સૌરાષ્ટ્રમાંથી પણ યુવા સંઘના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રારંભે વીર શહીદોના પાળિયા પાસે પૂજા-હવનવિધિ કરાઈ હતી. સંચાલન વિજયસિંહ જેઠવા અને હઠુભા સોઢાએ, આભારવિધિ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મે. ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

Panchang

dd