અંજાર, તા. 13 : ઋષિઓની
પરંપરા અને ભારતીય સંસ્કૃતિની પરંપરા ધરાવતા આ દેશમાં તત્ત્વજ્ઞાનને સૌથી મહત્ત્વ
અપાયું છે, જેનાં
કારણે ભારત દેશ મહાન છે, તેવું અંજારમાં યોજાયેલ સરળ દર્શન
તત્ત્વાર્થ સત્સંગના પ્રથમ સત્રમાં વકતા
અને કથાકાર ડો. મહાદેવ પ્રસાદે જણાવ્યું હતું. શહેરના જડેશ્વર મહાદેવ મંદિરથી
સત્સંગ સ્થળ સુધી વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી, ત્યારબાદ
સાસણગીરના વિમલદાસ બાપુ, અંજારના કથાકાર હરીશભાઈ પંડયા,
હરિઓમ મઢી, અંજારના સાધ્વી વસુમતીબેન, કથાકાર દિનેશભાઈ રાવલ અને અંજાર કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના સભ્યોના
હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. અંજારના મિત્રી સમાજ ભવન ખાતે યોજાયેલા દ્વિતીય
સત્રમાં કથાકાર અને ધારાશાત્રી દિનેશભાઈ રાવલે સાંખ્યદર્શન વિશે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, દર્શન એટલ માત્ર જોવું નહીં, પરંતુ અનુભૂતિ સાથે
આનંદ પ્રાપ્ત કરવું. આ ઉપરાંત તેમણે વિવિધ ધાર્મિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને
પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. મુક્તિનાથ બાપુ-માઉન્ટ આબુના ચંપકલાલ વ્યાસ,
મિત્રી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદભાઈ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમાના મનોજભાઈ સોલંકી, અંજાર
મિત્રી સમાજના પ્રમુખ વિનોદભાઈ ખોડિયાર, ભાવિકભાઈ રાવલ,
જગદીશભાઈ ગોર સહિતના આ
પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ કાર્યક્રમમાં ચાર વર્ષની બાળા પ્રાંજલ સંદીપ
રાજગોરે સ્તુતિ રજૂ કરી હતી. સત્સંગનું સંચાલન પુનિતભાઈ ત્રિવેદી, આશિષભાઈ અને કપિલ મહારાજે કર્યું હતું. સત્સંગ માટે સ્વ. કાંતિલાલ
જીવરામભાઈ જેઠવા (મહાત્મા) પરિવાર અને સત્સંગ મંડળના સભ્યોના પરિવારજનોએ આર્થિક
સહકાર આપ્યો હતો.