• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

સમગ્ર દેશની સાથે જિલ્લા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ

ભુજ, તા. 30 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં આજથી 30 જૂન સુધી એક માસ ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સરકારની વિકાસગાથા લોકો સમક્ષ લઇને જશે. ઉપરોક્ત કાર્યક્રમના આયોજનથી વાકેફ કરવા કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય-ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માહિતી આપતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, લોકોને માળખાકીય સુવિધા આપવા સાથે ગરીબી હટાવવાનું મહત્ત્વનું કામ ભાજપ સરકાર દ્વારા કરાયું છે. ગરીબ કલ્યાણ યોજના છેવાડાના માનવી સુધી પહોંચી છે. કિસાન, મહિલા, વિદ્યાર્થીઓ સહિતની યોજનાનો આંકડાકીય ચિતાર રજૂ કરી જણાવ્યું કે, કચ્છમાં પાસપોર્ટ કેન્દ્ર, ભુજ-નલિયા બ્રોડગેજ લાઇનનું કામ, કંડલા એરપોર્ટ વિસ્તરણ, ભીમાસર-અંજાર-ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગાંધીધામ ફ્રી હોલ્ડ તથા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવા સહિતના વિકાસના કામો પર પ્રકાશ પાડી આગામી આયોજન સાથે ટૂરિઝમ ક્ષેત્રે આગામી દિવસોમાં વિકાસના કામો જણાવ્યા હતા. જિલ્લા ભાજપના નવઅધ્યક્ષ દેવજીભાઇ વરચંદે જણાવ્યું કે, ભાજપ સરકારે નવ સાલ બેમિસાલની કામગીરી કરી છે. આ અવસરે આખા દેશમાં વિશેષ જનસંપર્ક અભિયાન અંગે જણાવી ઉમેર્યું કે જનસંઘની સ્થાપના અને તેની વિચારધારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મૂર્તિમંત થઇ છે. આ માસમાં સરકાર દ્વારા કરાયેલા કાર્યો લોકો સુધી પહોંચાડશે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજાએ નવ વર્ષનું શાસન નવા ઇતિહાસનું સર્જનની નોંધ સમગ્ર દેશે લીધી છે તેમ જણાવી નાનામાં નાના અને છેવાડાના લોકો સુધી વિકાસ યોજનાઓ પહોંચી છે. જિલ્લામાં ઘરોઘર સુધી પહોંચી લોકોનો સંપર્ક કરવા સાથે વિવિધ કાર્યક્રમો યોજશે. એક મહિનો યોજાનારા કાર્યક્રમોમાં 30-31/5ના પ્રારંભ રેલી, 1થી 6 જૂન સંપર્ક સમર્થન, 1થી 20 જૂન સુધી વિકાસતીર્થ (લોકસભા સ્તરે), પાંચથી 20 જૂન લાભાર્થી સંમેલન (મંડલ સ્તરે), 10થી 15 જૂન વેપારી સંમેલન, 10થી 20 જૂન પ્રબુદ્ધ સંમેલન (લોકસભા સ્તરે), 15થી 20 જૂન સંયુક્ત મોરચા સંમેલન, 21 જૂન યોગ દિવસ, 23 જૂન ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સૂચના અને સંવાદો શક્તિ કેન્દ્ર ખાતે યોજાશે. 25થી 30 જૂન ઘરઘર સંપર્ક, કેન્દ્ર-પ્રદેશ યોજના પ્રમાણે વિશાળ જનસભા સહિતના કાર્યક્રમ યોજાશે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ મંચસ્થ રહ્યા હતા. સંચાલન મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ જ્યારે અનવર નોડે, કેતન ગોર વિ. વ્યવસ્થા સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang