ભુજ, તા. 10 : શહેરમાં વિવિધ સહકારી તેમજ ખાનગી જગ્યાઓ પર કોનોકાર્પસ નામનાં
વૃક્ષો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. સરકરની માર્ગદર્શિકા મુજબ આ પ્રકારનાં
વૃક્ષ વાવવા તથા નર્સરીમાં રોપાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં શહેરમાં
જોવા મળે છે. કોનોકાર્પસ જેવાં વૃક્ષોથી ઘણા
બધાં નુકસાન થાય છે. જેમ કે, મનુષ્ય
સ્વાસ્થ્યમાં વૃક્ષના કણો શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા ઊભી કરે છે. શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવી સમસ્યાઓ આ વૃક્ષના લીધે
થાય છે. ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેના ઊંડા ફેલાતા મૂળિયા ભૂગર્ભજળ શોષે
છે અને સંદેશાવ્યવહારની લાઇન તથા પીવાનાં પાણીની
લાઇનને પણ નુકસાન પહોંચાડે છે. આવાં વૃક્ષો જૈવ વૈવિધ્યતા પર પણ અસર કરે છે. આવાં વૃક્ષો
પર પક્ષીઓ બેસતા નથી અને પ્રાણીઓ માટે ઉપયોગી
નથી, તેવું જાણકારોનું કહેવું છે. છતાં આવાં વૃક્ષો ભુજમાં સ્મૃતિવન, સેન્ટ એન્ડ્રુઝ
સ્કૂલ હરિપર રોડ, સૂરજ શિક્ષાધામ ખાતે ઉપરાંત ભુજ-દુધઇ હાઇવે
પર ખાનગી કંપનીઓની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા છે. સરકારની માર્ગદર્શિકા મુજબ
આવાં વૃક્ષો રહેઠાણ વિસ્તારથી દૂર હોવા જોઇએ, પરંતુ સ્મૃતિવનમાં
ભુજ-માધાપર અને દૂર-દૂરનાં સ્થળોએથી લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. સવારના ભાગમાં
સ્વાસ્થ્ય સુધારવા યોગ કરવા માટે દરરોજ ઘણા બધા લોકો અહીં આવતા હોય છે તેમજ સ્કૂલોમાં નાના બાળકો પણ ભણવા માટે જતા હોય છે અને મેડિકલ
ક્ષેત્રે કાર્ય કરતા અને ભણતા લોકોમાં પણ આવાં પ્રકારનાં વૃક્ષો વિશેની માહિતીનો અભાવ
જોવા મળે છે. કોનોકાર્પસના રોપા પર પ્રતિબંધ છે. છતાં કોલેજ રોડ પર આવેલી બે ખાનગી
નર્સરીમાં રોપાનું વેચાણ થઇ રહ્યું છે તે અટકાવવું જોઇએ.