જગદીશ ઠક્કર દ્વારા : નલિયા, તા. 10 : અબડાસા
તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત કોઠારા, જખૌ, જખૌ બંદર
અને ગરડા પંથક વાયોર વિસ્તારોમાં સામાન્ય દિવસો જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ લગ્નસરાની સિઝન ચાલુ
હોઈ નલિયા આજુબાજુના વિસ્તારનાં ગામડાંમાંથી લોકો નલિયામાં સોનાં-ચાંદી, કાપડ-કટલેરી વગેરેની ખરીદી કરતા જોવા મળ્યા હતા. રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવ્યો
હતો, પણ સવાર થતાં જ લોકો નિર્ભય જોવા મળ્યા હતા અને પોતપોતાનાં
કામમાં જોડાઈ ગયા હતા. તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરાયો હતો,
પણ બિટ્ટા પાસે આવેલા સોલાર પ્લાન્ટમાં રાત્રિ દરમિયાન લાઈટો જગમગાટ
કરતી જોવા મળી હતી. આવી કંપનીઓને તંત્ર દ્વારા આવા ઉદ્યોગ ઉપર એડવાઈઝરી બહાર પાડે તેવી
લોકોમાં ચર્ચા થઈ રહી હતી. જખૌ બંદરની વાત કરીએ તો ત્યાંના માછીમારી એસોસીએશનના પ્રમુખ
અબ્દુલશા પીરજાદા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અહીં શાંતિનો
માહોલ છે. લોકો નિર્ભય છે, માછીમારી સિઝનનો છેલ્લો મહિનો હોતાં
લોકો અત્યારથી જ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. લાંગરેલી બોટ ક્રેન દ્વારા ઉપર
ચડાવી દેવામાં આવી છે અને ઘણાખરા લોકો વતન તરફ નીકળી પણ ગયા છે અને ખાસ એમણે એક અપીલ
કરી છે કે, માછીમારોને સોશિયલ મીડિયામાંથી જે સમાચારો આવે છે
તે ખરેખર સત્ય છે કે શું જો સત્ય હોય તો સમાચાર પ્રસિદ્ધ કરવામાં વાંધો નથી,
પણ જો સમાચાર ખોટા હોય તો એને ડિલિટ કરી નાખવા જોઈએ. જખૌના હરેશ ભાનુશાલી
સાથે વાત કરતાં જણાવ્યું કે, અહીંની પરિસ્થિતિ સામાન્ય છે. બીજી
બાજુ કોઠારાના વિનયભાઈ રાવલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, લોકો તંત્રને પૂરો સાથ-સહકાર આપી રહ્યા છે. રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ હોતાં
લોકો ઇન્વર્ટરની લાઈટો પણ સ્વયંભૂ બંધ રાખી અને ફક્ત પંખાનો જ ઉપયોગ કરે છે,
એવું તેમણે જણાવ્યું હતું, તો ગરડા પંથક વિસ્તારના
અનુભા જાડેજા સાથે વાત કરતાં એમણે કહ્યું, પરિસ્થિતિ સામાન્ય
જેવી જ છે, પણ દરિયાઈ માર્ગથી આ વિસ્તાર નજીક હોતાં એ લોકોનો
કંઈ ભરોસો નહીં. ગભરાટ બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું કે, લોકોમાં
ભય જેવું કંઈ નથી. બિટ્ટાના અગ્રણી કુલદીપાસિંહ સોઢા અને મોહન વડોર સાથે વાત કરી તો
તેમણે કહ્યું કે, રાત્રિ દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ જાહેર
થયો છે, તે ખૂબ જ સરાહનીય છે, તંત્ર સાથે
આપણે ખભેખભા મિલાવી ઊભા રહેશું અને સાથેસાથે તંત્રને અમારી અપીલ પણ છે રાત્રિ દરમિયાન
લાઈટ બંધ હોય તો દિવસ દરમિયાન લાઈટ આપવી જોઈએ. આજે બિટ્ટા વિસ્તારમાં લગભગ સવારથી લાઈટ
નહોતાં લોકોને પાણી અને લોટ માટે પરેશાની ભોગવવી પડી હતી અને લોકો મોબાઇલમાં ચાર્જિંગ
ન હોવાથી પરેશાન બન્યા હતા. પીજીવીસીએલના અધિકારી સાથે વાત કરતાં તેઓ દ્વારા લાઈટ હમણા
આવી જશે એવા ખોટા વાયદાઓ અપાયા હતા. પ્રાંત કચેરી, મામલતદાર ઓફિસ
અને તાલુકા પંચાયતના અધિકારીઓએ પરિસ્થિતિ થાળે હોવાનું જણાવ્યું હતું.