ગાંધીધામ, તા. 30 : સોના ચાંદીના ભાવ વધારાને ધ્યાનમાં
ન લઈ ગાંધીધામ સંકુલમાં અક્ષય તૃતીયાનુ મુરત સાચવવા માટે શહેરીજનો આજે ગાંધીધામની વિવિધ
ઝવેરાત પેઢીઓ તરફ વળ્યા હતા. ખરીદીના સુકનને કારણે ઝવેરાત પેઢીના સંચાલકોના ચહેરા ઉપર ચળકાટ આવ્યો હતો. સોનુ લાખેણું
થયું છે ત્યારે અખાત્રીજનું મુહૂર્ત નહીં સચવાય તેવી આશંકા વેપારીઓને હતી પરંતુ તેનાથી વિપરીત લોકોએ ખરીદી કરીને મુહૂર્ત સાચવ્યું
હતું. સવારના અરસામાં ખરીદી માટે લોકો પહોંચ્યા હતા. જોકે બપોર બાદ ગરમીનો પારો ઉચકાતા દુકાનમાં શાંતિ ભર્યો માહોલ જણાયો હતો. જોકે મોડી
સાંજે ખરીદી કરવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા. પાંચ ગ્રામની ખરીદી કરવાની જરૂરિયાત
સામે બે ગ્રામની ખરીદી કરી લોકોએ મુહૂર્ત સાચવ્યું હતું. સંકુલની તમામ ઝવેરાત પેઢીઓમાં
ખરીદીનો માહોલ જણાતા વેપારીઓમાં અખાત્રીજનું મુહૂર્ત સચવાયું હોવાનો આનંદ જણાયો હતો.
ગાંધીધામના ટાગોર રોડ ઉપર આવેલા રીવા શોરૂમ દ્વારા અખાત્રીજ નિમિત્તે ખાસ યોજના જાહેર
કરવામાં આવી હતી. તેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. રીવા શોરૂમના માલિક ધવન કોડરાણીએ
જણાવ્યું હતું કે સોનાના ભાવ વધ્યા હોવા છતાં પણ ગાંધીધામ વાસીઓએ સારી ખરીદી કરી હતી.
અત્યારે 90,000 સુધીનો ભાવ પહોંચ્યો છે તેમ છતાં આગામી દિવસોમાં સવા લાખ સુધી
ભાવ પહોંચશે તે ગણતરીએ લોકોએ છેલ્લા ત્રણ દિવસથી ખરીદી કરી છે. રિવા ખાતે મજૂરીમાં
અખાત્રીજ નિમિત્તે 20 ટકાથી સો
ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. તેને પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાનું
કહ્યું હતું.