મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 30 : સોના-ચાંદીના આસમાનને આંબતા
ભાવની વિપરિત અસર કચ્છની બજારો પર પણ વર્તાઈ રહી છે. સુવર્ણ અને રજતની ખરીદી માટેના
મંગળ અવસર ગણાતા અક્ષય તૃતીયાના દિવસે પણ ભુજ સહિતની સોના-ચાંદી બજારોમાં ગ્રાહકો ઉમટી
પડયા નહોતા. અને અખાત્રીજની અગાઉના વર્ષોની તુલનાએ આ વખતે કારોબારમાં અંદાજે 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જો કે,બપોર બાદ બજારમાં સંચાર અનુભવાયો હતો અને નાની-મોટી
વસ્તુઓની ખરીદી સાથે અમુક અંશે શુકન સચવાયું હતું. સોનાની કિંમત તાજેતરના દિવસોમાં
ટેરિફયુદ્ધ સહિતના પરિબળોને લીધે સતત વધ્યા બાદ હાલમાં તેમાં સાધારણ ઘટાડો ય થયો છે.
આજે દિવસ દરમ્યાન સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં દસ ગ્રામે રૂ.900નો ઘટાડો નોંધાયો હતો પણ રાત
દરમ્યાન વૈશ્વિક બજારમાં ફરી વધારાનું વલણ જોવા મળ્યું હતું. ત્યારે લોકોએ પોતપોતાની ક્ષમતા મુજબ ઓછા વજનની વસ્તુઓને
પ્રાધાન્ય આપ્યું હતું. ભુજના કિશોર પ્રેમજી
શોરૂમના કિશોરભાઈ સોની કહે છે કે થોડા દિવસોથી બજારમાં મંદી હતી પણ આજે અખાત્રીજની
ખરીદી માટે આખા દિવસનું મુહૂર્ત હોવાથી ખરીદી સારી થઈ છે. અલબત્ત,વધુ ભાવને લીધે લોકો ઓછા વજનના દાગીના પસંદ કરે
છે. ખાસ તો એક-બે ગ્રામની લગડી, વીંટી, બૂટી વગેરે વેંચાય છે. શુકનના હિસાબે થોડી ખરીદી લગ્નની પણ થઈ છે. ભુજ બુલિયન
એસો.ના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે સોના-ચાંદીના ભાવ વધુ હોવાની અસર બજારમાં દેખાઈ
છે અને દર વખતે અખાત્રીજમાં હોય તેવી રોનક આ વખતે નથી. છેલ્લા એકાદ સપ્તાહથી કિંમતોમાં
થોડો ઘટાડો થતાં થોડી ઘરાકી નીકળી છે. જૈનોમાં વરસીતપના પારણા અખાત્રીજના હોય તેની
લેતી-દેતીની ઘરાકી હતી. કચ્છ જ્વેલર્સના ફેડરેશનના પ્રમુખ માંડવીના ભરત કપ્ટા કહે છે
કે વધુ કિંમતોને લીધે બજારમાં દર વખત જેવી
ઘરાકી નથી પણ લોકોએ નાની-મોટી વસ્તુઓની ખરીદી સાથે શુકન સાચવ્યું છે. અંજારના સોની રમણીકલાલ નાનાલાલના વેપારી અને ઈન્ડિયન
બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના કચ્છ ખાતેના પ્રમુખ ફોરમ સોની જણાવે છે કે અંજારની
આસપાસના વિસ્તારોમાં આહીર-રબારી વગેરે જ્ઞાતિમાં લગ્નગાળો છે અને તેની ખરીદી છે પણ
એકંદરે ભાવવધારાને લીધે દર વર્ષની તુલનાએ પ0 ટકા જેટલી ખરીદી ગણી શકાય.બાકી થોડી ખરીદી ઓછા વજનના દાગીના
અને ખાસ તો ચાંદીના ઘરેણાની રહી હતી. માહિતગાર સૂત્રોના દાવા મુજબ ગુજરાતમાં અખાત્રીજે
લગભગ 2પ0 કિલો સાનાનો કારોબાર થતો હોય છે ત્યારે કચ્છમાં ત્રીસેક કિલોનો
કારોબાર થયો હોઇ શકે.