ભુજ, તા. 14 : 13મી
એપ્રિલની સાંજ ભુજવાસીઓ માટે યાદગાર બની ગઇ. દેશના અગ્રણી કવિ કુમાર વિશ્વાસ અને
તેના સાથી કવિમિત્રોએ સ્મૃતિવનમાં શબ્દનો ઉત્સવ કહો કે, મહોત્સવ ઊજવી બતાવ્યો.
વ્યંગ અને સાહિત્યના આ માહોલને ભુજની હકડેઠઠ મેદનીએ તાળીઓના ગડગડાટ સાથે માણ્યો
હતો. પ્રારંભે આવકાર આપતાં સંસ્થાના વડા હિતેશ ખંડોરે કહ્યું હતું કે, છેલ્લાં 24 વર્ષથી તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ
અને ભારતીય જૈન સંગઠન દ્વારા કચ્છમાં આવેલા ભૂકંપ, વાવાઝોડાં અને કોરોના જેવી આપત્તિઓમાં
ખડેપગે રહીને સેવા કરાઇ છે, આ કાર્યક્રમથી જીવદયાની
પ્રવૃત્તિ, સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી, શિક્ષણ પ્રવૃત્તિને વેગ મળશે. જે.સી.એ. ઇન્ડિયાના ફાઉન્ડર ચેરમેન રમેશભાઇ
મોરબિયા દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ અને
જનસેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નજીક માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાનાં
નામે એક ભવનમાં કેન્દ્ર ઊભું કરાશે. આગામી જૂન-જુલાઇમાં આ કેન્દ્ર કાર્યરત થશે.
કેન્દ્રમાં યુવાનોને સ્કીલની તાલીમ અપાશે. સરકારની વિવિધ યોજનાઓનું ફોર્મ ભરાશે
તેવો આશાવાદ તેમણે દર્શાવ્યો હતો. આ ઉપરાંત સ્માર્ટ ગર્લ્સ પ્રોજેક્ટની જાહેરાત
કરી હતી. 14 વર્ષ સુધીની કન્યાઓ માટે મહારાષ્ટ્ર અને ગોવા બાદ હાલ
સુરતમાં આ પ્રકારનું કેન્દ્ર ચાલી રહ્યું છે તેની માહિતી આપતાં શ્રી ખંડોરે ભુજના
આ કેન્દ્રમાં કન્યાઓ માટે કૌશલ્ય વિકાસ
સાથે સંરક્ષણની પણ તાલીમ અપાશે એવી
જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ કચ્છમિત્ર અને જૈન સેવા કેન્દ્ર દ્વારા સમગ્ર
કચ્છમાં ચલાવાશે. આ માટે તેમણે જન્મભૂમિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ
મામણિયાનો આભાર માન્યો હતો. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સાંસદ સમરસતા
સમૂહલગ્ન યોજાશે, જેમાં 251 યુગલ તા. 20/5ના
યક્ષ મંદિરનાં પ્રાંગણમાં પ્રભુતામાં પગલાં માંડશે તેવી જાહેરાત કરાઇ હતી. આ સાથે
તેમણે છેલ્લા બે વર્ષથી શ્વાન માટે રોટલીનો પ્રકલ્પ હાથ ધરાતો હોવાની માહિતી આપી
હતી. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જૈન સંગઠન કચ્છ તેમજ કચ્છમિત્રના સહિયારા
ઉપક્રમે યોજાયેલા આ કાવ્ય ઉત્સવમાં પ્રારંભે નવકાર મંત્રનું પઠન કરાયું હતું, બાદમાં ઉપસ્થિત
મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. મંચ પર ઉપસ્થિત
અગ્રણીઓનું સન્માન કરાયું હતું. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના કેતનભાઇ શાહે ટ્રસ્ટનો
પરિચય આપ્યો હતો, તો ભારતીય જૈન સેવા સંગઠનના રાજનભાઇએ પણ
તેમની સંસ્થા વિશે માહિતી આપી હતી. સંચાલન હિમાંશુ રાસ્તેએ કાવ્યમય શૈલીમાં કર્યું
હતું્.
પ્રચૂર હાસ્ય, લાજવાબ વ્યંગ સાથે કુમાર
વિશ્વાસ છવાયા
ન કેવલ ભારત, બલ્કે વિશ્વ કે પુન:
નિર્માણ શીખાનેવાલે કચ્છ કો મેરા પ્રણામ કહીને શબ્દ ઉત્સવનું સંચાલન હાથ લેતાં
યુગકવિ કુમાર વિશ્વાસે લાક્ષણિક અદામાં વ્યંગ સાથે માહોલ ઊભો કર્યો હતો. 2006માં પુન: નિર્માણ જોયા પછી આટલા
વર્ષે ભુજ આવ્યો છું.
0 ભૂકંપો
કી માર સહન કર, છત પર ઊડા રહા એક અકેલા ઇશ્વર તેરી તાકાત દેખી અબ તું મેરી હિંમત દેખ.
તેમણે બાબા રામદેવ, વડાપ્રધાન અને સાંસદ
સહિતને લપેટમાં લઇને હાસ્યરસનો ઉલ્લાસ વહાવ્યો હતો. જેમને સાંભળવા લોકો દૂરથી
સ્મૃતિવન આવ્યા હતા તેમને કુમાર વિશ્વાસે
નિરાશ નહોતા કર્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની ખાસ
શૈલીની પ્રશંસા કરી લોકોને ખડખડાટ હસાવ્યા હતા, તો ગાંધીજી
અને સરદાર પટેલને પણ યાદ કર્યા હતા. `હું આજે બહુ જ ખુશ છું' એવું કહીને તેમણે અન્ય
કવિઓ સાથે શબ્દ ઉત્સવનું આગવી શૈલીથી સંચાલન કર્યું હતું અને પોતાની પ્રખ્યાત
કવિતા `કોઇ દિવાના કહેતા હૈ,
કોઇ પાગલ સમજતા હૈ'નું સાંપ્રત વિષયો, રાજકારણનાં ઉદાહરણ સાથે રસપ્રદ પઠન કર્યું હતું. તેમની આ બહુ જાણીતી કવિતા
પ્રસંગો સાથે વણીને રજૂ કરવાની તેમની શૈલી તેમના સર્જનોને પ્રાસંગિક બનાવી રાખે છે,
તેઓ શા માટે બહુ ટૂંકા ગાળામાં મોટા ગજાના કવિ બની ગયા છે તે તેમની
રજૂઆતની શૈલીથી જણાઇ આવ્યું. પ્રારંભમાં સ્મૃતિવનની લીધેલી મુલાકાત અને સિસ્મિક
સ્કેલ પર ઊભા રહીને ભૂકંપનો અનુભવ ઘણી લાગણીઓ ઊભી કરી ગઇ હોવાનું તેમણે જણાવ્યું
હતું. તેમણે અંતમાં ભુજનો, આયોજકોનો વિશેષ આભાર માન્યો હતો.
0 સમંદર
પીર કા અંદર હૈ લેકિન રો નહીં શકતા
યે આંસુ પ્યાર કે મોતી હૈ, ઇસકો ખો નહીં શકતા
મેરી ચાહત કો દુલ્હન બના લેના, મગર સુન લે
જો મેરા હો નહીં પાયા વો તેરા હો
નહીં શકતા