ભુજ, તા. 26 : કચ્છમાં નાગર જ્ઞાતિના આગમનથી લઇને તેમના વિકાસના સંશોધનને આવરી લેતા 1977માં લખાયેલું પુસ્તક ઇ-પુસ્તકનાં માધ્યમથી ઉપલબ્ધ બનાવાયું છે. જાણીતા ઇતિહાસકાર સ્વ. દિલસુખરાય અંતાણીએ આ જિલ્લામાં જ્ઞાતિના લોકોના આગમનથી લઇને તેમના સંસ્કાર, ગોત્ર, વ્રત-તહેવારો, હાટકેશ્વર મંદિરોની સ્થાપના સહિતનાં સંશોધનને એક જ સંપુટમાં સમાવતાં પુસ્તકની 1977માં આવૃત્તિ પ્રકાશિત કરી હતી, જેની હવે પ્રાપ્તિ ન હોતાં ઇ-આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, આ લેખકે આ સિવાય ભુજ દર્શન, કચ્છમાં અંગ્રેજી રાજ, દરિયાપીર સહિતનાં પુસ્તકો આપ્યાં છે, જે પૈકી ભુજ દર્શનની ઇ-આવૃત્તિ તાજેતરમાં ગૂગલ પ્લે, એમેઝોન પર મુકાઇ હતી. હવે આ પુસ્તક મુકાયું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ નાગર જ્ઞાતિ દર્શન 1977માં પ્રગટ થયું ત્યારે બહોળો આવકાર મળ્યો હતો. સંસ્કૃતિના અધ્યયન માટે પુસ્તકનું મહત્ત્વ સ્વીકારાતાં તે વિશ્વ પ્રસિદ્ધ લાયબ્રેરી ઓફ કોંગ્રેસ, વોશિંગ્ટન ડીસી દ્વારા પસંદગી પામ્યું હતું.