વાશિંગ્ટન, તા. 9 (પીટીઆઈ) : અમેરિકામાં ભારતીય
ડાયસ્પોરા સંગઠનોએ એચ-1બી વિઝા અરજીઓ
પર 1,00,000 ડોલરની ફી રદ કરવાના ફેડરલ
કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે અને તેને રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ માટે વાજબી
પગલું ગણાવ્યું છે. બીજી તરફ કેટલાક રિપબ્લિકન સહિતના અમેરિકી સાંસદોએ પણ ફેડરલ કોર્ટના
ચુકાદાને આવકાર્યો છે. વ્હાઇટ હાઉસ આ ચુકાદાને અપીલ્સ કોર્ટમાં પડકારે તેવી શક્યતા
છે. સોમવારે, એક ફેડરલ જજે ચુકાદો આપ્યો
કે, એચ-1બી અરજીઓ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં
આવેલી 1,00,000 ડોલરની ફી ગેરકાયદેસર હતી.
કારણ કે, તેને કોંગ્રેસની મંજૂરી મળી ન હતી. એચ-1બી વિઝા એ એક નોનઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની
જરૂર હોય તેવા વિશેષ વ્યવસાયોમાં વિદેશી કામદારોને
રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી
હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે તેના પર આધાર રાખે છે. ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા
એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝની પોલિસી અને સ્ટ્રેટેજીના ચીફ ખંડેરાવ કાંડે પીટીઆઈને
જણાવ્યું હતું કે, `અમે મેસેચ્યુસેટ્સ
ફેડરલ કોર્ટના વિઝા ફી રદ કરવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, જે રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં આગાહી
અને ન્યાયીતાને પુન:સ્થાપિત કરે છે.' કોર્ટના આદેશ પછી વિઝા સાથે
જોડાયેલા તમામ હિસ્સેદારોએ રાહતનો શ્વાસ લીધો હશે, પરંતુ શું
આ ખરેખર આ મામલાનો અંત છે ? એમ ઈન્ડિયા સ્પોરાના એક્ઝિક્યુટિવ
ડાયરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું. કેન્ડે કહ્યું કે, કોર્ટનો ચુકાદો નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતામાં
અમેરિકાના સ્પર્ધાત્મક લાભને જાળવી રાખવા માટે યોગ્ય છે. યુએસના ટેકનોલોજી,
આરોગ્ય સંભાળ અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોના સતત વિકાસ માટે ઉચ્ચ કુશળ
વૈશ્વિક પ્રતિભાઓની પહોંચ આવશ્યક છે. જો કે, જોશીપુરાએ ચેતવણી
આપતાં કહ્યું કે, યુએસ વહીવટી તંત્ર હજુ પણ એચ-1બી વિઝાધારકો માટે કાયદાનું ઉલ્લંઘન ન કરતી
પ્રક્રિયાગત બાબતો દ્વારા અવરોધો ઊભા કરી શકે છે.