નવી દિલ્હી, તા. 9 : પશ્ચિમ એશિયામાં
તણાવ વચ્ચે ઊર્જા સંકટથી વિશ્વમાં ચિંતાનો માહોલ છે,
તો મધ્ય પૂર્વમાંથી પુરવઠામાં વિક્ષેપથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પૈકી
ભારતે ઊર્જા પુરવઠો પુન: સ્થાપિત કરવા માટે ઝડપી પગલાંના ભાગરૂપે ઓમાનથી ગુજરાત સુધી
લાંબી પાઇપલાઇન બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જે આ અરબી
સમુદ્રમાં લગભગ 2,000 કિલોમીટરની
ઊંડી સમુદ્ર ગેસ પાઇપલાઇન હશે. ઓમાન અને ગુજરાતને જોડવાની આ લાંબા સમયથી ચર્ચાસ્પદ
યોજના છે, કારણ કે ભારત વધતા અનિશ્ચિત ભૂ-રાજકીય તણાવ
વચ્ચે વધુ વિશ્વસનીય ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માગે છે. એક મીડિયા હેવાલ મુજબ,
છેલ્લા ત્રણ દાયકામાં આ પ્રોજેક્ટની ઘણી વખત સમીક્ષા થઈ ચૂકી છે,
પરંતુ ઊંચા ખર્ચ, ટેકનિકલ અવરોધો અને વ્યાપારી
મુશ્કેલીઓએ યોજનાને અટકાવી દીધી છે. જો કે, હવે પ્રસ્તાવને ખાનગી
જૂથ એસએજીઈ દ્વારા મળેલા સમર્થનથી માર્ગ અને તેના એન્જિનીયારિંગ પડકારોનું મૂલ્યાંકન
કરવા માટે દરિયાઈ તળિયાના સર્વેક્ષણ તેમજ ટેકનિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ કર્યા પછી
પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. - ખર્ચ કેટલો થશે? : આ પ્રોજેક્ટનો
ખર્ચ આશરે રૂા. 40,000 કરોડ
થવાનો અંદાજ છે. ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન અત્યાર સુધીના સૌથી ઊંડા દરિયાઈ માર્ગોમાંથી
એક હશે. તે કુદરતી ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરશે. જો પૂર્ણ થાય, તો તે ગલ્ફ દેશો અને ભારત વચ્ચે સીધો ઊર્જા
કોરિડોર સ્થાપિત કરી શકે છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર
થતા દરિયાઈ માર્ગો પર દેશની નિર્ભરતા ઓછી થઈ શકે છે. - પ્રોજેક્ટ શા માટે મહત્ત્વપૂર્ણ ? : ભારત આયાતી ઊર્જા પર ખૂબ નિર્ભર છે. દેશ
તેની મોટાભાગની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો આયાત કરે છે અને કુદરતી ગેસ, ખાસ કરીને એલએનજીના વિદેશી પુરવઠા પર ખૂબ આધાર
રાખે છે. આ આયાતનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી ઉદ્ભવે છે અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત
પહોંચે છે, જે પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતી સાંકડી
ચેનલ છે. આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક બજારો પર તાત્કાલિક અસર કરી શકે છે,
જે શાપિંગ ખર્ચ, ઇંધણના ભાવ અને પુરવઠા શૃંખલાઓને
અસર કરી શકે છે. - પાઇપલાઇન
કેવી દેખાશે? : પ્રસ્તાવિત
પ્રોજેક્ટ અરબી સમુદ્રમાં ફેલાયેલા પાણીની અંદરના નેટવર્ક દ્વારા ઓમાનને સીધો ગુજરાત
સાથે જોડશે. તેની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા તેની ઊંડાઈ છે. રૂટના કેટલાક ભાગો સમુદ્ર
સપાટીથી 3,000 મીટરથી વધુ નીચે હોવાની અપેક્ષા
છે, જે તેને અત્યાર સુધી પ્રસ્તાવિત સૌથી ઊંડા પાણીની
અંદરના પાઇપલાઇન પ્રોજેક્ટ્સમાંનો એક બનાવે છે. - ગેસ આયાત માટે કેટલો ખર્ચ થશે? : આ પાઇપલાઇન
લાંબા ગાળાના પુરવઠા કરાર હેઠળ કુદરતી ગેસનું પરિવહન કરશે તેવી અપેક્ષા છે, જે ભારતને તેના ઊર્જા સ્ત્રોતોને વૈવિધ્યીકરણ
કરવામાં મદદ કરશે. ઓમાનને સ્થિર નિકાસ બજાર પણ મળશે.