નવી દિલ્હી, તા. 19 : ભારતનાં પાઇલટ
સંગઠને અમદાવાદ વિમાન દુર્ઘટનાના અહેવાલો અંગે કાનૂની લડત છેડતાં બેજવાબદારીભર્યાં
રિપોર્ટિંગ બદલ અમેરિકી મીડિયા વોલસ્ટ્રીટ જર્નલ અને રોયટર્સને નોટિસ આપી હતી. ફેડરેશન
ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (એફઆઇપી)એ કાનૂની નોટિસમાં આ મીડિયા સંસ્થાનો માફી માગે તેવી માંગ
પણ કરી હતી. પાઇલટ સંગઠનની નોટિસમાં નોંધાયું છે કે,
વોલસ્ટ્રીટ જર્નલ અને રોયટર્સના અહેવાલોથી જીવ ખોનારા પાઇલટ્સની પ્રતિષ્ઠાને
ગંભીર નુકસાન થયું છે. એફઆઇપી અધ્યક્ષ કેપ્ટન સી.એસ. રંધાવાએ શનિવારે જણાવ્યું હતું
કે, આ અહેવાલોના કોઇ તથ્યાત્મક આધારો જ નથી. રોયટર્સના અહેવાલે
શોકમગ્ન પરિવારોને બિનજરૂરી પીડા આપી છે અને પાઇલટ સમુદાયનાં મનોબળને ઘટાડયું છે. પાઇલટ સમુદાય ઘણી
મોટી જવાબદારી અને દબાણ વચ્ચે કામ કરે છે. સત્તાવાર તપાસ પૂરી થઇ ન જાય ત્યાં સુધી
અટકળો આપતા અહેવાલોથી બચવાની અપીલ પાઇલટ સંગઠને મીડિયા જગતને કરી હતી. કેપ્ટન રંધાવાએ
કહ્યું હતું કે, વોલસ્ટ્રીટ જર્નલ અને રોયટર્સ માફી નહીં માગે
અને અહેવાલો પર સ્પષ્ટતા નહીં આપે તો અમે કાનૂની કાર્યવાહી કરશું.