મુંબઇ, તા. 18 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા
પછી પહેલીવાર મહારાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભૂષણ રામકૃષ્ણ ગવઇએ રવિવારે રાજ્યના ટોચના
અધિકારીઓની અનુપસ્થિતિથી પ્રોટોકોલ તૂટતાં નારાજગી બતાવી હતી. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને મુંબઇના પોલીસ કમિશનર
આવકારવા માટે નહીં પહોંચતાં મુખ્ય ન્યાયમૂર્તિએ મહારાષ્ટ્ર-ગોવા બાર કાઉન્સિલના કાર્યક્રમમાં
નિરાશા વ્યક્ત કરી હતી. ગવઇએ જણાવ્યું હતું કે, ભારત દેશના મુખ્ય
ન્યાયમૂર્તિ પહેલીવાર જે રાજ્યની યાત્રાએ આવે છે તે જ રાજ્યના ટોચના અધિકારીઓ હાજર
ન રહે તો તે માત્ર પ્રોટોકોલ તૂટવાનો જ નહીં, પરંતુ બંધારણીય
સંસ્થાઓના પરસ્પર સન્માનનો પણ વિષય છે. બાર કાઉન્સિલ યોજિત રાજ્ય સ્તરના વકીલ સંમેલનમાં
સન્માનિત થયા પછી મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇએ કહ્યું હતું કે, 40 વર્ષથી મને મળેલો સ્નેહ આજે
ચરમ પર છે. આ સન્માન મારા માટે અવિસ્મરણીય ક્ષણ છે. ભાવુક બની ગયેલા ગવઇએ કહ્યું હતું
કે, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનવાનો અવસર મારા માટે
ગૌરવ, સૌભાગ્યની બાબત છે.