નવી દિલ્હી, તા. 10 (પી.ટી.આઈ.)
: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સતત વધી રહી છે. સતત બે રાતથી પાકિસ્તાને ભારત
પર ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસ કરાયા હતા, જેને હવામાં
જ નિષ્ફળ બનાવાયા હતા. દરમ્યાન, ભારત સરકારે મોટો નિર્ણય લીધો
છે. સરકારના ઉચ્ચ સૂત્રો અનુસાર હવે જો આતંકવાદી હુમલા થશે તો તેને યુદ્ધ માનવામાં
આવશે અને એ જ પ્રકારે તેનો જવાબ આપવામાં આવશે. આ નિર્ણયની સાથે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની આગેવાની હેઠળની સરકારે આતંકવાદી ઘટનાઓ સામે લાલરેખા દોરવા માગે છે અને ગુનેગારો
તેમજ કાવતરાખોરોને કડક ભાષામાં જવાબ આપવાનો તેનો ઈરાદો સ્પષ્ટ કરે છે. મોદી સરકારના
આ નિર્ણયને પાકિસ્તાનને એક કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,
પહેલગામમાં બાવીસમી એપ્રિલે ક્રૂર આતંકવાદી હુમલામાં 26 પર્યટકનાં
મોત થયાં તે પછી સરકારનો આ નિર્ણય આવ્યો છે. સરકારના નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે
કે,
ભારત હવે પાકિસ્તાન દ્વારા કરાતા આતંકવાદી હુમલાને સહન કરશે નહીં. ભારત
તેને `યુદ્ધનું
કૃત્ય'
માનીને જ આગળ વધશે.