નવી દિલ્હી, તા. 20 : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અને દેશના મુખ્ય
ન્યાયાધીશની સીધી આલોચના કરતાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ
દુબેનાં નિવેદનોની ટીકા કરી છે, તો સુપ્રીમ
કોર્ટના એક ધારાશાત્રીએ દુબે સામે અદાલતની અવમાનનાનો કેસ ચલાવવાની માગણી સાથે એટર્ની
જનરલ વેંકટરામાણીને પત્ર લખ્યો છે, તો બીજી તરફ ભાજપે નિશિકાંતનાં
બયાનોથી અંતર જાળવીને કહ્યું હતું કે, અમે આવાં નિવેદનોથી સંમત
નથી. જો કે, વધતા વિવાદ વચ્ચે દુબેએ વધુ એક વિવાદાસ્પદ બયાનમાં
વકફ કાયદાની ટીકા કરનારા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી માટે લખ્યું હતું
કે, તમે ચૂંટણીના કમિશનર નહીં પણ મુસ્લિમોના કમિશનર હતા. તેમના
કાર્યકાળમાં ઝારખંડમાં સંથાલમાં સૌથી વધુ બાંગલાદેશી ઘૂસણખોરોને મતદાર બનાવાયા હતા.કોંગ્રેસના
નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ સુપ્રીમ કોર્ટને
કમજોર કરવા માગે છે. તેઓ દેશની બંધારણીય સંસ્થાઓ સામે પ્રહારો કરી રહ્યા છે. સલમાન ખુરશીદે કહ્યું હતું
કે, આપણી કાયદાકીય વ્યવસ્થામાં અંતિમ નિર્ણય સરકારનો નહીં સુપ્રીમ
કોર્ટનો હોય છે અને કોઈ આ બાબત સમજે નહીં તે અત્યંત દુ:ખની વાત છે. સમાજવાદી પક્ષના
નેતા અખિલેશ યાદવે દુબેનાં નિવેદનો પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપને સામાન્ય ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળી ગઈ હોત તો આ નેતાઓ રસ્તા પર તલવારો લઈને ફરતા
હોત. દરમ્યાન, સુપ્રીમ કોર્ટના એક વકીલ
અનસ તનવીરે એજીને પત્ર લખીને દુબે સામે અવમાનનાની કાર્યવાહી માટેની માંગ કરી છે. તેમણે
આક્ષેપ કર્યો હતો કે, દુબેએ સુપ્રીમ કોર્ટની ગરિમા ઓછી થાય તેવા
પ્રયાસ કર્યા છે.