નવી દિલ્હી, તા. 1પ : સુપ્રીમકોર્ટે
દૂષ્કર્મના મામલાઓમાં ઈલાહાબાદ હાઈકોર્ટની આપત્તિજનક ટિપ્પણીઓને લઈને કડક વલણ અપનાવ્યું
છે.અદાલતે જણાવ્યું હતું કે, આવું
શા માટે થયું ? આવી ટિપ્પણીઓ થવી જોઈતી નહોતી. વડી અદાલતે એક
વિદ્યાર્થિની સાથે બળાત્કારના આરોપીને જામીન આપીને કહ્યું હતું કે, મહિલાએ પોતે જ મુશ્કેલી નોતરી લીધી હતી. ન્યાયાધીશ બી.આર.ગવઈ અને ન્યાયાધીશ
એ.જી. મસીહની ખંડપીઠે જણાવ્યું હતું કે, હવે વધુ એક ન્યાયાધીશે
એક આદેશ આપ્યો છે કે, જામીન આપી શકાય છે, પણ તેણે(પીડિતાએ) ખુદ જ મુશ્કેલીને આમંત્રિત કરી છે એ વળી કેવી વાત કરી દીધી.
આવી વાતો કરતી વખતે ખાસ કરીને ન્યાયાધીશોએ
સાવચેત રહેવું જોઈએ ઈલાહાબાદ હાઈકોર્ટના જ ન્યાયાધીશે જ એક વિવાદાસ્પદ આદેશમાં એમ
કહ્યું હતું કે, અમુક અંગને અડવાથી જ દૂષ્કર્મ
થઈ જતું નથી. આ ચુકાદાનું સ્વત: સંજ્ઞાન લેતાં સુપ્રીમકોર્ટની ખંડપીઠે સુનાવણી કરી
હતી અને આ દરમ્યાન ઈલાહાબાદ હાઈકોર્ટના જ દૂષ્કર્મ પીડિતાએ જ મુસીબત નોતરી એવી ટિપ્પણી
અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય
છે કે, ઈલાહાબાદ વડી અદાલતે 10 એપ્રિલે બળાત્કારના એક આરોપીને
જામીન આપતાં કહ્યું હતું કે, બંને
પક્ષ પુખ્ત છે અને પીડિતા એક શિક્ષિત યુવતી છે માટે તેણે પોતાના નિર્ણયોના નૈતિક અને
કાયદાકીય પરિણામો સમજવા જોઈતા હતા. પીડિતાના આરોપોને સાચા માની લઈએ, તો પણ એમ કહી શકાય છે કે તેણે ખુદ જ મુસીબતને બોલાવી લીધી.