બેંગ્લુરુ, તા. 21 : હનીટ્રેપની
જાળમાં 48 ધારાસભ્ય સપડાયા હોવાનું અને
તેની સીડી-પેનડ્રાઈવ તૈયાર કરાયાનો દાવો કરાતાં કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે.
ભાજપે આ મામલે કોંગ્રેસના નેતા અને રાજ્યના મંત્રી શિવકુમારને માસ્ટર માઈન્ડ ગણાવ્યા
છે. આજે વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે ધમાલ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને સહકારીતા
મંત્રી કે. એન. રાજન્નાએ વિધાનસભામાં દાવો કર્યો કે,
રાજ્યના 48 ધારાસભ્ય
જેઓ વિવિધ પક્ષ સાથે સંકળાયેલા છે તેઓ હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમણે આ મામલાની
તપાસ કરવા રાજ્ય પોલીસને અપીલ કરી છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુનિરત્નએ
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર પર સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે, તેઓ સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યોને
હનીટ્રેપમાં ફસાવનારી ટીમના સૂત્રધાર છે. તેમણે આરોપ લગાવ્યો કે, શિવકુમાર અને તેમના ભાઈ ડી. કે. સુરેશે પહેલાં પણ ભાજપના ધારાસભ્ય રમેશ જરકીહોલીને
હનીટ્રેપમાં ફસાવ્યા હતા, જેથી તેમણે ર0ર1માં મંત્રી પદેથી રાજીનામું આપવું પડયું હતું. રાજન્નાએ કહ્યું કે, લોકો કહે છે કે કર્ણાટકમાં સીડી અને પેનડ્રાઈવ
બનાવતી ફેકટરી છે. મને જાણવા મળ્યું છે કે, 48 લોકોની સીડી અને પેનડ્રાઈવ બની છે. ઉપરાંત જેડીએસના ધારાસભ્ય
એચ. ડી. રેવન્ના, તેમના પુત્ર
અને એમએલસી સૂરજ રેવન્ના, હવે સહકારીતા મંત્રી કે. એન. રાજન્નાને
પણ આ રીતે નિશાન બનાવાયા હતા. મુનિરત્ને દાવો કર્યો કે, તેમના
વિરુદ્ધ પણ બળાત્કારનો ખોટો કેસ કરાયો છે જેની પાછળ શિવકુમારનો હાથ છે. તેમણે કહ્યું
કે, શિવકુમાર રાત્રે બે વાગ્યે બેઠકો યોજે છે અને હનીટ્રેપ ટીમ
મોકલે છે.