ભુજ, તા. 9 : ધંધામાં બરકત અને નડતર દૂર
કરવાના બહાને ધાર્મિકવિધિનાં નામે ઠગાઈ કરતી ત્રિપુટીને પદ્ધર પોલીસે દબોચી લીધી છે, પરંતુ આવા લેભાગુ તત્ત્વો હજુ પણ ફરી રહ્યાં
છે ત્યારે ખાસ કરીને વડીલો તેનાથી સાવધાન રહે તે જરૂરી બન્યું છે. આજે ભુજમાં વડીલો
સાથે બનેલી ઘટના આંખ ઉઘાડનારી છે. ભુજના નવી રાવલવાડી સાઈટના રઘુવંશી નગરના જલારામ
મંદિરના પૂજારીબેન મોટી ઉમરના છે. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં પગેપગે આવતા
હતા ત્યારે રામધૂન પાસે એક શખ્સે કહ્યું, હાલો બા બેસી જાવ, તેમણે ના પાડી આથી બીજી વાર કહીને બેસાડી દીધા અને કહ્યું,
તમારી પાસે જે પાકીટ છે તે આપો આગળ રાખી દઉં... તેમણે ના પાડી... પણ
કઈંક વશીકરણ જેવું કરી નાખતાં આ વડીલબેન અર્ધબેભાન બની છેક રાવલવાડી બાજુનાં પાણીના
ટાંકા પાસે પહોંચ્યા ત્યારે ભાનમાં આવી જતાં ગાડી ઊભી રખાવીને ઊતરી ગયા.... આ શખ્સે
તેને તેડી આવવા બદલ રૂા.100ની માંગ કરતાં
વડીલબેને રાડારાડી કરતાં તે નાસી છૂટયો હતો. આમ હાલમાં આવા ધુતારા-લેભાગુ તત્ત્વો સક્રિય
બન્યા છે ત્યારે ખાસ સાવધાન રહેવાની જરૂર હોવાનો આ તાજો દાખલો છે.