ગાંધીધામ, તા. 4 : હરિયાણાના ગુડગાંવના ધારાશાત્રી
તથા વેપારી સાથે સિંગાપોર, ભારતમાં કંપની
ભાગીદારીમાં ખોલી બાદમાં કાસેઝથી વિદેશમાં મોકલાવેલ જૂના કપડાંના નીકળતા હિસાબમાંથી
પૂરતા પૈસા જમા ન કરાવી ધંધા માટે આપેલી રકમ પરત ન આપી રૂા. 23,92,73,764ની છેતરપિંડી, વિશ્વાસઘાત કરાતાં ત્રણ શખ્સ સામે પોલીસ મથકે
ફરિયાદ નોંધાઇ હતી. ગુડગાંવમાં રહેતા ફરિયાદી જસનપ્રીતસિંઘ બલદેવસિંઘ બ્રારને ગુરવિંદરસિંઘ
મોહિન્દરસિંઘ તુર મળ્યો હતો અને પોતે જૂનાં કપડાંનો ધંધો કરતો હોવાનું તથા કોરોનાના
કારણે ધંધામાં નુકસાની થઇ હોવાની વાત કરી હતી. પૈસાની જરૂરિયાત હોવાનું કહેતાં ફરિયાદીએ
તેને રૂા. 32,50,000 આપ્યા
હતા જેના બદલામાં આરોપીએ પ્રિસ્ટીન ગ્લોબલ પ્રા. લિ. કંપનીના 55 ટકા શેર આપવાની વાત કરી હતી, પરંતુ બાદમાં આપ્યા નહીં. બાદમાં આ બંનેએ સિંગાપોર
ખાતે બેટ ઇન્ટરકોન્ટિનેન્ટલ કોર્પોરેશન પ્રા. લિ. કંપની બનાવી અને ભારતમાં બેટ કોર્પ
ઇન્ડિયા પ્રા. લિમિટેડની ગુડગાંવ ખાતે સ્થાપના કરી હતી. બાદમાં આરોપીના કહેવાથી યુ.એસ.ની
ઇનકેમ ટ્રેડિંગ કંપનીને પૈસા આપવા તથા વેપાર માટે ફરિયાદીએ પોતાના અમેરિકા સ્થિત મિત્રોને
વાત કરી હતી અને અમેરિકાની એ ટુ ઝેડ ઓપરેટિંગ એલ.એલ.સી. કંપની સાથે સહકાર કરાર કરાયો
હતો અને અમેરિકા સ્થિત આ કંપની નાણાં આપવા સહમત થઇ હતી. બાદમાં ગુરવિંદર અને ફરિયાદી
ગાંધીધામના કાસેઝમાં યુ.એસ. ક્લોધિંગના હનીફ મહમદ તલ્લુને મળ્યા હતા. બાદમાં આ શખ્સને
કંપનીએ ફરિયાદીની કંપનીના રૂપિયા કે વપરાયેલાં કપડાં કે સામાન આપ્યો ન હતો. ગુરવિંદરે
ફરી કાસેઝની ટેક્સ પોલી ઇમ્પેક્સના મહમદ રફીક બારા સાથે મુલાકાત કરાવી હતી અને સાથે
વેપાર કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં ફરિયાદીએ રફીક બારાની કંપનીમાં 96 લાખ આપ્યા તેની સામે તેમને
હજુ સુધી 60 લાખ પરત આપવામાં આવ્યા નથી.
અમેરિકા સ્થિત એ ટુ ઝેડ કંપની ત્યાંથી કપડાં મોકલાવતી જે કાસેઝની ટેક્સ પોલી કંપનીમાં
આવતાં અને જે કપડાં નિકાસ થાય તેમ ન હોય તે ગુડગાંવ સ્થિત ફરિયાદીની બેટ કોર્પ ઇન્ડિયા
કંપનીમાં મોકલવાના હતા, તેમ છતાં આ ગુડગાંવની કંપનીમાં કોઇ માલ મોકલવામાં
આવ્યો ન હતો. દરમ્યાન, ટેક્સ પોલી કંપનીએ યુ.એસ.ની એ ટુ ઝેડ કંપનીના
સિક્કા લાગેલા હતા તે રૂા. 19,43,97,899ના ખોટા ઇનવોઇસ યુ.એસ. કંપનીના નામે બેંકમાં જમા કરાવ્યા હતા. બાદમાં ઘાના ખાતે
કપડાંના કન્ટેનર નિકાસ કરી તેની ઓછી કિંમત દર્શાવવામાં આવી હતી જેની રકમ પણ ફરિયાદીની
કંપનીમાં જમા કરાવાઇ નહોતી. પછી મોઝામ્બિકના માપુટો પણ આવી રીતે કન્ટેનર મોકલી તેની
ઓછી કિંમત દર્શાવી ફરિયાદીની કંપનીમાં તે રૂપિયા પણ આપવામાં આવ્યા નહોતા. બાદમાં ફરિયાદી
કાસેઝમાં આવી રફીક બારાને રોકાણના રૂપિયા પાછા આપી દેવા કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો
અને મારા ઉપર હત્યાનો એક કેસ છે, બીજો
થશે તો ફરક નહીં પડે તેવી ધાકધમકી કરી હતી. આ ત્રણેય શખ્સોએ કુલ રૂા. 23,92,73,764ની છેતરપિંડી આચરતાં ત્રણેય
સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.