ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના સેલારીમાં આવેલા
મેટાસરી મહાદેવ મંદિરમાં ઘૂસી નિશાચરોએ
રૂા. 1,15,000નાં આભૂષણોની ચોરી કરી હતી.
મંદિરમાંથી ચોરીના બનાવને પગલે શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી હતી. સેલારીમાં પૂર્વ
બાજુ અઢી કિ.મી. દૂર મેટાસરી તળાવની પાસે મેટાસરી મહાદેવ મંદિર આવેલું છે. ચૌધરી પરિવારનાં
આ મંદિરમાં સેવા-પૂજા માટે પૂજારી તરીકે મોહનનાથ ભીખાનાથ ગોસ્વામીને રાખવામાં આવ્યા
છે. આ પૂજરીએ ગત તા. 7-1ના મંદિરમાં
સેવા-પૂજા કરી હતી ત્યારે બધું બરોબર હતું, પરંતુ તા. 8-1ના સવારે
પૂજા કરવા આવતાં મંદિરમાંથી ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. રાત્રિ દરમ્યાન નિશાચરો
આ મંદિરની અંદર ઘૂસ્યા હતા. આ મંદિરમાં શિવલિંગ પર શ્રદ્ધાળુઓએ પંચધાતુની ચાંદીની
(જર્મન સિલ્વર)ની નાગની મૂર્તિ ચડાવી હતી. આ તસ્કરો શિવલિંગ પાસે પહોંચ્યા હતા અને
ચડાવેલી પંચધાતુની નાગની બે મૂર્તિ કિંમત રૂા. 1,15,000ની ચોરી કરી હતી. સવારે આ બનાવ પ્રકાશમાં આવતાં ભારે રોષની લાગણી
પ્રસરી હતી. હાલમાં થોડા દિવસો પહેલાં પાબુજી દાદાનાં મંદિરમાં તોડફોડ, મૂર્તિઓ ખંડિત કરવાનો બનાવ બન્યો હતો. તેવામાં
એક મંદિરમાંથી ચોરીના બનાવથી પોલીસ આરોપીઓને શોધી કાઢવામાં નિષ્ફળ નિવડી રહી હોવાનું
સમજાય છે. અગાઉ પણ થયેલી અનેક ચોરીના બનાવોની ફાઇલો કચેરીઓમાં ધૂળ ખાઇ રહી છે,
ત્યારે આળસ ખંખેરીને કડક કાર્યવાહીની માંગ લોકોમાં ઊઠી હતી.