• રવિવાર, 20 જુલાઈ, 2025

સુથરીના સીમાડામાં પવનચક્કીમાં આગ : તોતિંગ પાંખડું ખેતરમાં પડયું

નલિયા, તા. 19 : અબડાસા તાલુકાના સુથરીના સીમાડામાં ખાનગી કંપનીની પવનચક્કીમાં  આગ લાગતાં થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધો હતો. તેનો તોતિંગ પાંખ પાસેના ખેતર પડયો હતો. મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ આગ થકી વાવેતરને  નુકસાન થયાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ખેતર માલિક સુમરા ફકીર મામદ પોતાના ખેતરમાં મગફળીનો પાકનું વાવેતર કર્યું છે, તેનું રખોપું કરવા રાત્રિના સમયે ખેતરના શેઢે ખાટલો રાખીને સૂતા હતા. પાસે આવેલી પવનચક્કીમાં આગ લાગી હતી અને તે સુતા હતા તે ખાટલેથી થોડીક દૂર જ પવનચક્કીનો મોટું પાંખડું પડ્યું હતું. આમ તે જાનહાનીથી બચ્યા હતા. આગ સવારના 7:30 વાગે લાગી હતી પણ બપોર સુધી આ આગને બુઝાવવાનો પ્રયત્નો કંપની દ્વારા કરવામાં ન આવતા જ પવનચક્કીનો મલબો આસપાસના ખેતરોમાં પડ્યો હતો. ખેતરો વાવેલા  પાકને નુકસાની પહોંચી હતી. પવનચક્કીઓ વર્ષો જૂની થઈ જવાના કારણે આ વિસ્તારમાં ચારથી પાંચ આગના બનાવો બન્યા છે અને આસપાસના ખેતરોમાં નુકસાની પણ વેઠવી પડી છે ત્યારે તંત્ર આવી કંપનીઓ સામે પગલાં ભરે તેવું લાલા ગામના આમદ સંગારે જણાવ્યું હતું.  બીજી તરફ સુથરીના સરપંચ અબ્દુલ રહીમ મંધરાએ જિલ્લા કલેકટરના પત્ર લખીને રજૂઆત કરી હતી કે સુથરી અને આજુબાજુના ગામડાઓમાં વાંરવાર આગ લાગવાના બનાવો બને છે. આગને કાબુમાં લેવા માટે કોઈ ફાયર ફાઈટરો કંપની પાસે નથી. આગના બનાવોના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન થાય છે તેમજ ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળે છે. અમુક વિસ્તારોમાં વીજલાઈન નીચે થઇ જવાના કારણે અકસ્માત થવાની શક્યતા રહી છે. પવનચક્કીની ફિટનેસની તપાસ કરાવી અનફીટ પવનચક્કીને બંધ કરવામાં આવે, અને નુકશાન થયેલ ખેડૂતોને યોગ્ય વળતર આપવામા તેવી લેખીત રજુઆત પણ કરી હતી. 

Panchang

dd