કચ્છમાં પશુ ચિકિત્સા અને વિદ્યાલયની સ્થાપના થશે

ભુજ, તા. 22 : રાજ્યમાં પશુપાલકોને પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા મહત્ત્વનો નિર્ણય કર્યો છે તેવું કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ 2023-24થી વીસીઆઇની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે. આ માટે વિવિધ સંવર્ગની 42 જગ્યાઓ નિયમિત ધોરણે તેમજ 32 જગ્યાઓ આઉટસોર્સિંગથી મળી કુલ 74 જગ્યાઓનું મહેકમ પણ મંજૂર કરાયું હોવાનું કહ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ખાવડા રોડ, એરપોર્ટ પાસે મરઘાં- ભેંસ ઉછેર કેન્દ્રમાં બિલ્ડિંગ તૈયાર છે. હાલ પૂરતું તેમાં શરૂ કરાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની દીર્ઘદૃષ્ટિ અને વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઇ માલમના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના ધારાધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા વર્ષ 2022-23ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂા. પાંચ કરોડ પૂરાની જોગવાઇ કરાઇ હતી.કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ઘોડા, પાટણવાડી ઘેટાં, કાહ્મી બકરાં અને કચ્છી તથા ખારાઇ ઊંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે.આ મંજૂરીને પગલે રાજ્યમાં કુલ છ વેટરનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે 300 પશુચિકિત્સકોની જગ્યાએ શરૂઆતમાં 60 જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જગ્યાઓમાં વધારો થવાથી  ભવિષ્યમાં દર વર્ષે અંદાજે 500 જેટલા પશુચિકિત્સકો તૈયાર?થાય તે પ્રમાણેનું આયોજન છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2023 Saurashtra Trust