કસ્ટોડિયલ ડેથ પ્રકરણ ચોક્કસ અસરકર્તા બની રહેશે : વિજયભાઇ
ભુજ, તા. 24 : મુંદરા વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કસ્ટોડિયલ ડેથનું પ્રકરણ સત્તાપક્ષ માટે ચોક્કસ અસરકર્તા બની રહેશે અને ગઢવી-ચારણ સમાજ સહિત તમામ સમાજો આ સ્થિતિમાં સારા માણસોને ચૂંટી કાઢે તેવી સ્પષ્ટ પ્રતિક્રિયા અખિલ કચ્છ ગઢવી ચારણ સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીએ આપી હતી. પોલીસ અધિકારી રહી ચૂકેલા અને વિધાનસભા સ્તરની ચૂંટણી લડી શકવા સાથે કાયદાને નજીકથી જાણનારા અને રાજકીય માહોલથી સુપરિચિત એવા વિજયભાઇએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રકરણને લઇને ગઢવી-ચારણ સમાજે કોઇ રાજકીય પાર્ટીનો વિરોધ નથી કર્યો, પણ પ્રજાહિતના બદલે પક્ષના પ્રતિનિધિ તરીકે કામ કરનારા અને લોકોનું હિત હૈયે ન રાખનારા વિશે હવે તમામ સમાજોને સમજ પડી ગઇ છે. વર્તમાન સમયમાં આવાં રાજકીય માથાંઓની કાર્યવાહી કચ્છ માટે હાનિકારક બની રહેવાનું કહેતાં શ્રી ગઢવીએ સમાજને સારા માણસો ચૂંટી કાઢવાની અપીલ કરી હતી.